1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુપ્રીમ અને હાઈકોર્ટના ન્યાયધિશોની બે દિવસીય કોન્ફરન્સ યોજાશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુપ્રીમ અને હાઈકોર્ટના ન્યાયધિશોની બે દિવસીય કોન્ફરન્સ યોજાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સૌ પ્રથમવાર સુપ્રીમ કોર્ટ સહિત રાજ્યની અલગ અલગ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ન્યાયાધીશોની બે દિવસીય કોન્ફરન્સ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન. વી રમણાંની અધ્યક્ષતામાં યોજાનારી આ કોન્ફરન્સમાં ન્યાયપાલિકા ને લગતા અલગ-અલગ વિષયો લઈને ચર્ચા વિમર્શ કરવામાં આવશે.

ગુજરાત સરકાર અને ગુજરાત હાઇકોર્ટના સંયુક્ત ઉપક્રમે નર્મદા કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત અલગ અલગ રાજ્યની હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તથા અન્ય જજોની હાજરીમાં બે દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે  તારીખ 9 અને 10 એપ્રિલ 2022ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયા કોલોનીના ટેન્ટ સીટી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમણ આ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભારત સરકારના કાયદા અને ન્યાયના મંત્રી કિરણ રિજિજુ અને જસ્ટીસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટીસ એસ. અબ્દુલ નઝીર, જસ્ટીસ એમ.આર.શાહ, જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ બેલા એમ.ત્રિવેદી –સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો પણ આ કોન્ફરન્સમાં વિશેષ અતિથિઓ તરીકે હાજર રહેશે.અને તેઓ વિવિધ વિષય ઉપર પોતાના અનુભવ અને વિચારો વ્યક્ત કરશે. ગુજરાત રાજ્યના કાયદા અને ન્યાય વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ ઉદઘાટન કાર્યક્રમાં હાજરી આપશે.

નેશનલ જ્યુડિશરી કોન્ફરન્સમાં તા. 9 એપ્રિલ, 2022 ના રોજ મધ્યસ્થીકરણ વિષય પર ત્રણ સત્રો યોજાશે. જ્યારે 10 એપ્રિલ, 2022 ના રોજ ઈન્ફર્મેશન ટેકનોલોજી વિષય પર બે સત્રો યોજાશે. ડો. જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ, ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અને ભારતની સર્વોચ્ચ અદાલતની ઈ-કમીટીના અધ્યક્ષ “ફ્યૂચર ઓફ જસ્ટીસ–ટેકનોલોજી અને જ્યૂડિશિયરરી “વિષય પર કોન્ફરન્સના બીજા દિવસે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સભાને સંબોધશે. મધ્યસ્થીકરણ પરના સત્રોમાં વાણિજ્યિક મધ્યસ્થીકરણ વિશેની વિગતો અને તેના લાભાર્થીઓને થતા લાભો ઉપરાંત કોર્ટ સાથે જોડાયેલી મધ્યસ્થીકરણ સંબંધિત પાસાઓને પણ આવરી લેવામાં આવશે. કેસ દાખલ કરતા પહેલાની મધ્યસ્થીકરણની પ્રકિયા અને લાભો તેમજ ઓનલાઈન મધ્યસ્થીકરણ પર પણ ચર્ચા કરવામાં આવશે.આ કોન્ફરન્સમાં તમામ મુખ્ય ન્યાયાધીશો અને વરિષ્ઠ ન્યાયાધીશો સાથે વિવિધ હાઇકોર્ટના ઇન્ફોર્મેશન ટેકનોલોજીના રજીસ્ટ્રારો પણ હાજર રહેશે.

આ કોન્ફરન્સના વિષયો મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર દ્વારા ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશો સાથે પરામર્શ કરીને પસંદ કરવામાં આવ્યા છે. જેથી કરીને ખુબ જ સુસંગત તેમજ સમકાલીન વિષયો પર વિચારો અને અનુભવનું શ્રેષ્ઠતમ આદાન-પ્રદાન થઇ શકે અને ન્યાય પ્રણાલીને વધુ ઉત્કૃષ્ટ બનાવી શકાય.કોન્ફરન્સની કાર્યવાહીનું ગુજરાત હાઇકોર્ટની ઓફીશીયલ યુટ્યુબ ચેનલ પર પ્રસારણ કરવામાં આવશે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code