સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરરીતિ પ્રકાશમાં આવતા 27 રેશનિંગની દુકાનોના લાયસન્સ રદ કરાયા
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં રેશનિંગના કેટલાક દુકાનદારો દ્વારા કરાતી ગેરરીતિ પ્રકાશમાં આવતા 27 જેટલાં દુકાનદારોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. આ કૌભાંડમાં પુરવઠા વિભાગનો આઉટસોર્સથી કામ કરતો કારકૂન પણ સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે. જે ગ્રાહકો અનાજ લેવા માટે આવતા નહતા તેમના નામે ઓટીપી પાડીને કૌભાંડ આચરવામાં આવતું હતું. આ મામલે અનેક ફરિયાદો ઊઠી હતી. પરંતુ જિલ્લાના પુરવઠાના અધિકારીઓએ કોઈ જ પગલાં લીધા નહતા. આખરે ગાંધીનગર વિજિલન્સને ફરિયાદ મળતા તપાસના આદેશ અપાતા ગરીબોનું અનાજ સગ્વગ્ કરવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું
સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં સૌ પ્રથમ વખત એક સાથે 27 રેશનિંગ દુકાનોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લા પુરવઠા વિભાગની ટીમે કુલ 29 રેશનિંગ દુકાનોના લાયસન્સ 3 મહિના માટે સ્થગિત કર્યા છે. જિલ્લાના વઢવાણ, પાટડી અને લખતર સહિતના વિસ્તારોમાં રેશનિંગ દુકાનોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. દરમિયાન આ તપાસમાં પુરવઠા કચેરીમાં આઉટસોર્સથી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કર્મચારીની સંડોવણી પણ ખુલી છે. આ ક્લાર્કને પણ તાત્કાલિક અસરથી છુટો કરવામાં આવ્યો છે. રેશનિંગ દુકાનધારકો ગ્રાહકોના નામે ચડાવી સસ્તું અનાજ બારોબાર વેંચી મારતા હતા. જે ગ્રાહકો અનાજ લેવા નથી આવતા તેઓના નામે OTP પાડી કૌભાંડ આચરવામાં આવતું હતું. કૌભાંડીયા રેશનિંગ દુકાનદારો ગ્રાહકોની ફિંગરપ્રિન્ટ હેક કરી ગેરકાયદે બારોબાર અનાજનો જથ્થો સગેવગે કરતા હતા. જે ગાંધીનગર વિજિલન્સના ધ્યાને આવતા તપાસના આદેશ આપ્યા હતા.
આ તપાસ દરમિયાન 27 રેશનિંગ દુકાનધારકો દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સપાટી પર આવ્યું હતું. પુરવઠા વિભાગ આ રેશનિંગ દુકાનધારકોના લાયસન્સ 3 માસ માટે સસ્પેન્ડ કરીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે અનેકવાર પૂરવઠા વિભાગને ફરિયાદો પણ મળી હતી. જેના પગલે તપાસ કરીને પગલાં લીધા હતા. (file photo)