Site icon Revoi.in

ACPCએ ME, M FARM, MBA, સહિત અભ્યાસક્રમોમાં પ્રવેશની કાર્યવાહી શરૂ કરી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ધોરણ 12ના પરિણામ બાદ હવે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા કોલેજોમાં પ્રવેશની મોસમ શરૂ થઈ છે. જીકાસ દ્વારા સ્નાતક અને અનુસ્નાતકના પ્રવેશ બાદ હવે એસીપીસી (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ) દ્વારા એમઈ-એમફાર્મ, એમ પ્લાન, એમબીએ-એમસીએ-2025ના કોર્સમાં પ્રવેશ માટેના કાર્યક્રમની જાહેરાત કરી છે. આ જાહેરાત અનુસાર પ્રવેશ માટેની લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ આજે તા. 3 જૂનથી 24 જૂન 2025 સુધીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

એસીપીસીના સૂત્રોના જણાવ્યા મુજબ એમઈ-એમફાર્મ, એમ પ્લાન, એમબીએ-એમસીએ-2025ના કોર્સમાં પ્રવેશ માટે પ્રવેશ કમિટીની વેબસાઈટ www.gujacp.nic.in પરથી રજિસ્ટ્રેશનની કાર્યવાહી કરી શકશે. એમઈ-એમફાર્મમાં માટેની લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત તારીખ દરમિયાન પ્રવેશ કમિટીની વેબસાઈટ www.gujacp.nic.in પરથી રજિસ્ટ્રેશન માટેની કાર્યવાહી કરી શકશે. બીજી તરફ એમ પ્લાનની કોલેજો માટે પ્રવેશ કમિટીની વેબસાઈટ https;//acpc.gujarat.gov.in/ પરથી ફોર્મ ડાઉનલોડ કરીને ભરીને એસીપીસી ખાતે જમા કરાવવાનુ રહેશે.આ એડમિશનની પ્રક્રિયા ઓફ લાઈન હાથ ધરવામાં આવશે. જ્યારે ઉમેદવારોને રજિસ્ટ્રેશન માટેની કાર્યવાહીમાં સરળતા રહે તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિવિધ જિલ્લા કક્ષાએ આવેલી કોલેજના સાઈબર સેન્ટરની વ્યવસ્થા કરાઈ છે. આ અંગેનીમાહિતી પ્રવેશ કમિટિની વેબસાઈટ https;//acpc.gujarat.gov.in/ ઉપર મૂકવામાં આવી છે.

આ ઉપરાંત વિવિધ કોર્સમાં ઉપલબ્ધ બેઠકોની માહિતી પ્રવેશ કમિટીની વેબસાઈટ પર આગામી સમયમાં મૂકવામાં આવશે. પ્રવેશ અંગેની કોઈ પણ પ્રકારની વિગતોની માહિતી મેળવવા માટે પ્રવેશ કમિટીના હેલ્પ લાઈન નંબર 079-26566000નો સંપર્ક કરવા માટે જણાવાયું છે.

પ્રવેશ કમિટી દ્વારા એમઈની કુલ 77 કોલેજોની 7048, એમફાર્મની 65 કોલેજોની 2748, એમ પ્લાનની કુલ 10 કોલેજોની 290 બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.જ્યારે એમબીએની 126 કોલેજોની કુલ 16650 બેઠકો માટે તેમજ 83 કોલેજોની 7750 બેઠકો પર પ્રવેશ અપાશે.