1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી આધારિત આધુનિક ખેતીની ટેકનિકો અપનાવવી એ વર્તમાન સમયની માંગઃ PM મોદી
ટેકનોલોજી આધારિત આધુનિક ખેતીની ટેકનિકો અપનાવવી એ વર્તમાન સમયની માંગઃ PM મોદી

ટેકનોલોજી આધારિત આધુનિક ખેતીની ટેકનિકો અપનાવવી એ વર્તમાન સમયની માંગઃ PM મોદી

0
Social Share

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આવેલી ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ખાતે પીએમ કિસાન સમ્માન સંમેલન 2022નું ઉદ્ઘાટન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે રસાયણ અને ખાતર મંત્રાલય અંતર્ગત 600 પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (PMKSK)નું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત, પીએમ નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના – એક રાષ્ટ્ર, એક ખાતરનો પણ પ્રારંભ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) હેઠળ રૂ. 16,000 કરોડના 12મા હપતાની રકમ પણ રિલિઝ કરી હતી. પ્રધાનમંત્રીએ એગ્રી સ્ટાર્ટઅપ કોન્ક્લેવ અને પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, પીએમ મોદીએ ‘ઇન્ડિયન એજ’ નામના ખાતરને લગતા ઇ-મેગેઝિન પણ વિમોચન કર્યું હતું. તેમણે સ્ટાર્ટઅપ પ્રદર્શનની થીમ પેવેલિયનમાં લટાર મારી હતી અને ડિસ્પ્લેમાં રાખવામાં આવેલા ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગ્રે પીએમ મોદીએ એક જ પરિસરમાં જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાનની ઉપસ્થિતિનો સ્વીકાર કરતા પોતાની વાતની શરૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે, આજે આપણે અહીં આ મંત્રનું જીવંત સ્વરૂપ જોઇ શકીએ છીએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, કિસાન સંમેલન એ ખેડૂતોના જીવનને સરળ બનાવવા, તેમની ક્ષમતામાં વધારો કરવા અને અદ્યતન કૃષિ ટેકનિકોને પ્રોત્સાહન આપવા માટેનું એક માધ્યમ છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, “આજે 600 થી વધુ પ્રધાન મંત્રી સમૃદ્ધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.” આ કેન્દ્રો માત્ર ખાતરનું વેચાણ કરનારા કેન્દ્રો નથી પરંતુ દેશના ખેડૂતો સાથે ઊંડો સંબંધ સ્થાપિત કરવા માટેનું એક વ્યવસ્થાતંત્ર છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN)નો નવો હપતો રિલિઝ કરવા અંગે, તેમણે જણાવ્યું હતું કે, કોઇપણ વચેટિયાને સામેલ કર્યા વિના સીધા જ ખેડૂતોના ખાતામાં નાણાં પહોંચે છે. તેમણે ઉમેર્યું હતું કે, “પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ તરીકે કરોડો ખેડૂત પરિવારોને રૂ. 16,000 કરોડનો વધુ એક હપતો પણ રિલિઝ કરવામાં આવ્યો છે”, અને ખુશી વ્યક્ત કરી હતી કે, આ હપતો દિવાળી પહેલાં ખેડૂતો સુધી પહોંચી રહ્યો છે, આજે પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક યોજના – એક રાષ્ટ્ર, એક ખાતરનો પણ પ્રારંભ કરવામાં આવી રહ્યો છે જે ખેડૂતોને ભારત બ્રાન્ડનું પરવડે તેવું ગુણવત્તાયુક્ત ખાતર ઉપલબ્ધ થાય તેવું સુનિશ્ચિત કરવા માટેની યોજના છે.

2014 પહેલાંના સમયમાં જ્યારે ખેડૂતોને મુશ્કેલીમાં મુકાયેલા કૃષિ ક્ષેત્ર અને યુરિયાના કાળાબજારનો સામનો કરવો પડ્યો હતો, તે સમયને યાદ કરતા પીએમએ જણાવ્યું હતું કે, જેના પર ખરેખરમાં ખેડૂતોને હક છે તે મેળવવા માટે પણ તેમને દંડા સહન કરવા પડતા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે યુરિયાનું 100% નીમ કોટિંગ કરીને તેની કાળાબજારીને ઉકેલ લાવી દીધો છે. “અમે દેશની 6 સૌથી મોટી યુરિયા ફેક્ટરીઓને ફરીથી શરૂ કરવા માટે સખત મહેનત કરી છે, જે વર્ષોથી બંધ હાલતમાં હતી”.

પરિશ્રમી ખેડૂતોને જેનાથી ઘણો ફાયદો થયો છે તેવા પગલાંઓ પર પ્રકાશ પાડતા પીએમએ કહ્યું હતું કે, ભારત લિક્વિડ નેનો યુરિયાના ઉત્પાદનમાં આત્મનિર્ભરતાની દિશામાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. “નેનો યુરિયા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરવાનું માધ્યમ છે.” યુરિયાથી ભરેલી બોરીના બદલે હવે માત્ર નેનો યુરિયાની એક બોટલથી કામ થઇ જશે. આના કારણે યુરિયાના પરિવહન ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

પીએમ મોદીએ ભારતની ખાતર સુધારણાની ગાથામાં બે નવા પગલાંનો ઉલ્લેખ કર્યો હતો. સૌથી પહેલું તો, આજે સમગ્ર દેશમાં 3.25 લાખથી વધુ ખાતરની દુકાનોને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો તરીકે વિકસાવવા માટે એક અભિયાનનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આ એવા કેન્દ્રો હશે જ્યાં ખેડૂતો માત્ર ખાતર અને બિયારણો જ મેળવશે એવું નથી, પણ માટીના પરીક્ષણનો અમલ પણ અહીં કરવામાં આવશે અને ખેતીની ટેકનિકો વિશે ઉપયોગી માહિતી મેળવી શકશે. બીજું કે, એક રાષ્ટ્ર, એક ખાતરથી ખેડૂતને ખાતરની ગુણવત્તા અને તેની ઉપલબ્ધતા અંગેની તમામ પ્રકારની મૂંઝવણોમાંથી છૂટકારો મળી જશે. “હવે દેશમાં વેચાતું યુરિયા એક જ નામ, સમાન બ્રાન્ડ અને સમાન ગુણવત્તાનું હશે અને આ બ્રાન્ડ છે ભારત! હવે યુરિયા આખા દેશમાં માત્ર ‘ભારત’ બ્રાન્ડ નેમ હેઠળ જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.” આગળ તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, તેના કારણે ખાતરની કિંમતમાં ઘટાડો થશે અને તેની ઉપલબ્ધતામાં વૃદ્ધિ થશે.

ટેકનોલોજી આધારિત આધુનિક ખેતીની ટેકનિકોને અપનાવવા તે વર્તમાન સમયની માંગ છે એ બાબત પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, આપણે કૃષિમાં નવી પ્રણાલીઓ બનાવવી પડશે, વધુ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પદ્ધતિઓ અપનાવવી પડશે. આ વિચારસરણી સાથે, અમે કૃષિમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા પર અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ પર ભાર મૂક્યો છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, અત્યાર સુધીમાં 22 કરોડ સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા બીજ આપવા માટે વૈજ્ઞાનિક પ્રયાસો ચાલી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, “છેલ્લા 7થી 8 વર્ષ દરમિયાન બદલાયેલી આબોહવાની પરિસ્થિતિઓને અનુરૂપ બિયારણની લગભગ 1700 નવી જાતો ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવી છે”.

તેમણે જણાવ્યું હતું કે, “આજે, આપણી પાસે જે પરંપરાગત બરછટ અનાજ એટલે બાજરીના બીજની ગુણવત્તા છે તેમાં સુધારો કરવા માટે દેશમાં ઘણા હબ બનાવવામાં આવી રહ્યા છે.” આખી દુનિયામાં ભારતના બરછટ અનાજને પ્રોત્સાહિત કરવાના સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, આગામી વર્ષને બરછટ અનાજના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

સિંચાઇ માટે પાણીનો જે પ્રકારે આડેધડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેની સામે પ્રધાનમંત્રીએ ચેતવણી આપી હતી અને ‘પર ડ્રોપ મોર કોર્પ’ (દરેક ટીપે વધુ પાક), સૂક્ષ્મ સિંચાઇ અને ટપક સિંચાઇની દિશામાં સરકારના પ્રયાસોનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, છેલ્લા 7થી 8 વર્ષમાં 70 લાખ હેક્ટર કરતાં વધુ જમીન સૂક્ષ્મ સિંચાઇ હેઠળ લાવવામાં આવી છે.

(PHOTO-FILE)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code