
ગુજરાત વિદ્યાપીઠમાં 16 વર્ષ બાદ નિયમો બદલાયા, ફરજિયાત હોસ્ટેલનો નિયમ અંતે રદ કરાયો
અમદાવાદઃ મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત કરાયેલી ગુજરાત વિદ્યાપીઠમાં કૂલપતિ તરીકે રાજ્યપાલની નિયુક્તિ બાદ વિદ્યાપીઠમાં વર્ષો જુના નિયમો બદવીને હવે વિદ્યાર્થીલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ગુજરાત વિદ્યાપીઠે 16 વર્ષ જૂના એક નિયમને તિલાંજલી આપી છે. ગૂજરાત વિદ્યાપીઠે 16 વર્ષ બાદ ફરજિયાત હોસ્ટેલનો નિયમ રદ કર્યો છે. આગામી શૈક્ષણિક વર્ષથી ઉચ્ચ શિક્ષણના તમામ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ મરજિયાત કરવાનો નિર્ણય કરાયો છે. ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને ફરજિયાત હોસ્ટલમાં રહેવાનો નિયમ હતો. એટલે કે, શૈક્ષણિક કાર્ય દરમિયાન વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહેવું ફરજિયાત હતું. પરંતું હવેથી વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ નિવાસ સ્વૈચ્છીક નહિ રહે. વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓને વધુ સારી વ્યવસ્થા આપવા ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાત વિદ્યાપીઠના કૂલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ટ્રસ્ટી મંડળની બેઠક મળી હતી. આગામી શૈક્ષણિક વર્ષથી ઉચ્ચ શિક્ષણના તમામ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ મરજિયાત કરવાનો નિર્ણય કરાયો છે. નવા શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીઓને ફરજિયાત વિદ્યાપીઠ હોસ્ટેલમાં રહેવું ના પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સાથે જ જૂની ઇમારતોનું સમારકામ કરાવવા આદેશ અપાયા છે. વિદ્યાર્થીઓને છાત્રાલય અને હોસ્ટેલમાં ભોજનની ઉત્તમ સુવિધા આપવા તાકીદ કરાઈ છે. મેદાનની વધુ સારી સુવિધા આપવા સૂચન કરાયું છે. વિદ્યાપીઠ મંડળ સમિતિઓની પુનરચના, સમતા અને વિકાસ, પ્રોપર્ટી, કવાર્ટસ, ગ્રામશિલ્પી જેવી સમિતિઓની પુનરચના કરાશે. મેટ્રો રેલ પ્રોજેકટ તરફથી મળેલી રકમનો ઉપયોગ નવી જમીન ખરીદવા કરાશે. ઉલ્લેખનીય છે કે રાજભવનમાં મળેલી ટ્રસ્ટમંડળની બેઠકમાં 16 સભ્યો હાજર રહ્યા હતા, છ સભ્ય ગેરહાજર રહ્યા હતા, જેમાં આ નિર્ણયો લેવાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ શહેરના પ્રખ્યાત આશ્રમરોડ પર સ્થિત છે. જેની સ્થાપના મહાત્મા ગાંધીએ 18 ઓક્ટોબર, 1920માં કરી હતી. ગુજરાત વિદ્યાપીઠની શરૂઆત પહેલા કોચરબ આશ્રમની પાછળ ડાહ્યાભાઈના બંગલામાં કરવામાં આવી હતી. મહત્વનું છે કે, મહાત્મા ગાંધીજીની આ સંસ્થા આજે પણ ગાંધી ચિધ્યા માર્ગે તેમના નિયમો અને વિચારોથી ચાલે છે. ગૂજરાત વિદ્યાપીઠના બંધારણ મુજબ કુલનાયકની ઉપર કુલપતિ હોય છે. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ એ ક્યારેય રાજ્યપાલ નથી હોતા. અહીં વિદ્યાપીઠના જ ટ્રસ્ટી મંડળ દ્વારા ગાંધીવાદી હોય અને સામાજીક ક્ષેત્રના અગ્રણી હોય તેવા વ્યક્તિને કુલપતિ બનાવવામાં આવે છે.