
અમદાવાદ : પ્રવાસનના શોખીન લોકો માટે આ ઉનાળું વેકેશન વિપુલ તકો લઈને આવ્યુ છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સમર વેકેશનમાં મનપસંદ જગ્યાએ હરવા-ફરવા માટે વધુ ફ્લાઈટ્સ ઉપલબ્ધ થશે. શિયાળાનાં સમયપત્રકની સરખામણીએ એપ્રિલથી લગભગ 20% અને સપ્ટેમ્બર 2023થી લગભગ 26% વધુ ફ્લાઈટ્સ ઉમેરાશે. એટલું જ નહીં, નવા સ્થળોની સાથે મનપસંદ સ્થળોએ લઈ જતી ફલાઈટ્સની ફ્રીક્વન્સીમાં પણ વધારો કરાશે.
SVPI એરપોર્ટ પરથી આ વર્ષે મુસાફરી માટેના સ્થળોમાં વધારો થવાને કારણે ઉનાળુ વેકેશન વધુ રોમાંચક બનશે. ચાલુ વર્ષે વિવિધ એરલાઈન્સ દ્વારા નાસિક, વિશાખાપટ્ટનમ, કોઈમ્બતુર, પંતનગર, દુર્ગાપુર, અગરતલા અને રાયપુર જેવા નવા સ્થળો ફ્લાઈટ્સ શરૂ થવાની છે. તદુપરાંત ઉત્તર ગોવા મોપા એરપોર્ટ, લખનૌ, બેંગલુરુ, ઈન્દોર, ચંદીગઢ, પુણે અને દિલ્હી જેવા મનપસંદ સ્થળોએ શિયાળા કરતાં વધુ ફ્લાઈટ્સ રહેશે. નવા સ્થળોએ મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવા સીધી ફ્લાઇટ અથવા એક જ એરક્રાફ્ટમાં વન-સ્ટોપ ફ્લાઇટ શરૂ થવાની સંભાવના છે. પરિણામે એપ્રિલમાં કુલ ફ્લાઇટ મૂવમેન્ટ 1346 સાપ્તાહિકથી 20% વધીને 1620 થવાની ધારણા છે. સપ્ટેમ્બર 2023માં તેનાથી પણ 6% વધુ રહેવાની ધારણા છે.
વિદેશ યાત્રા કરતા મુસાફરોનું વેકેશન પણ વધુ રોમાંચક બની રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. નવા વિદેશી પર્યટન સ્થળોએ ફ્લાઈટ શરૂ થવાની શક્યતા છે. એર ઈન્ડિયાએ અમદાવાદથી ગેટવિક એરપોર્ટ માટે સીધી ફ્લાઈટની જાહેરાત કરી હોવાથી, બગદાદની નવી ફ્લાઈટ પણ શરૂ થવાની શક્યતા છે. જેદ્દાહની ફ્લાઈટ શરૂ થવાથી અબુ ધાબી માટે ફ્રિક્વન્સીમાં વધારો થવાની સંભાવના છે. એટલે કે, શિયાળુ સમયપત્રકની સરખામણીએ એપ્રિલ’23માં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની મુવમેન્ટ 20% અને સપ્ટેમ્બર’23માં 27% વધીને 187 સાપ્તાહિકથી વધીને એપ્રિલ’23માં 224 અને સપ્ટે.’23માં સાપ્તાહિક 237 થશે. નવા સમયપત્રક મુજબ ઉનાળામાં અમદાવાદનું SVPI એરપોર્ટ 9 સ્થાનિક અને 17 આંતરરાષ્ટ્રીય એરલાઇન કેરિયર્સ સાથે 39 સ્થાનિક અને 19 આંતરરાષ્ટ્રીય સ્થળોને જોડશે.