દિલ્હી:તંગ આપૂર્તિને કારણે આ મહિનાના અંત સુધીમાં છૂટક બજારમાં ડુંગળીના ભાવમાં વધારો થવાની સંભાવના છે અને આગામી મહિનામાં તે 60-70 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી શકે છે. જો કે, ઓક્ટોબરથી ખરીફની આવક શરૂ થતાં ડુંગળીનો પુરવઠો સુધરશે, જેના કારણે ભાવમાં નરમાશ આવવાની ધારણા છે. શુક્રવારે એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી હતી.
ક્રિસિલ માર્કેટ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિટિક્સ રિપોર્ટ અનુસાર, “માગ-પુરવઠાની અસંતુલન ઓગસ્ટના અંતમાં ડુંગળીના ભાવ પર અસર કરે તેવી શક્યતા છે. ગ્રાઉન્ડ લેવલની વાતચીતથી મળેલી માહિતી મુજબ સપ્ટેમ્બરની શરૂઆતથી રિટેલ માર્કેટમાં ભાવમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે અને તે 60-70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. જો કે, કિંમત 2020ની ઊંચી સપાટીથી નીચે રહેશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રવિ ડુંગળીના સંગ્રહ અને ઉપયોગની અવધિમાં બે મહિનાનો ઘટાડો થવાથી અને આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં વેચાણને કારણે ઓપન માર્કેટમાં રવિ ડુંગળીનો સ્ટોક સપ્ટેમ્બરના બદલે ઓગસ્ટના અંત સુધીમાં નોંધપાત્ર રીતે ઘટવાની શક્યતા છે, તેનાથી ડુંગળીનો વપરાશ વધશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબરથી ખરીફની આવક શરૂ થવાથી ડુંગળીનો પુરવઠો વધુ સારો રહેશે, જેના કારણે ભાવમાં નરમાઈ આવવાની આશા છે. તેણે ઉમેર્યું હતું કે તહેવારોના મહિનાઓ (ઓક્ટોબર-ડિસેમ્બર)માં કિંમતોમાં અસ્થિરતા દૂર થવાની ધારણા છે. આ વર્ષે જાન્યુઆરી-મે દરમિયાન ડુંગળીના ભાવમાં ઘટાડાથી ગ્રાહકોને થોડી રાહત મળી છે. જો કે, આના કારણે ખરીફ સિઝનમાં ડુંગળીના ખેડૂતોને વાવણી કરવામાં નિરાશ થયા.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે “આ જોતાં, અમે આ વર્ષે વાવેતર વિસ્તાર આઠ ટકા ઘટવાની અને ડુંગળીનું ખરીફ ઉત્પાદન વાર્ષિક ધોરણે પાંચ ટકા ઓછું રહેવાની અપેક્ષા રાખીએ છીએ,”વાર્ષિક ઉત્પાદન 29 મિલિયન ટન થવાની ધારણા છે. આ છેલ્લા પાંચ વર્ષના સરેરાશ ઉત્પાદન (2018-22) કરતાં સાત ટકા વધુ છે.” તેથી, ખરીફ અને રવિ ઉત્પાદન ઓછું હોવા છતાં આ વર્ષે પુરવઠામાં મોટી અછતની કોઈ શક્યતા નથી. જો કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ ડુંગળીનો પાક અને તેની વૃદ્ધિ નક્કી કરશે.