પાલનપુર નજીક ખેમાણા ટોલનાકા પર સ્થાનિક લોકોને મુક્તિ આપવામાં નહીં આવે તો આંદોલન કરાશે
પાલનપુરઃ બનાસકાંઠાના પાલનપુર નજીક હાઈવે પર ખેમાણા ટોલટેક્સ નાકાને લીધે આજુબાજુ ગામના સ્થાનિક લોકોને પણ ટોલટેક્સ ભરવાની ફરજ પડી રહી છે. ખેડૂતો વાહન લઈને પોતાના સીમ-ખેતરે જતાં વચ્ચે ટોલનાકું આવતું હોવાથી ટોલ ટેક્સ ભરવાની ફરજ પડી રહી છે. આથી આજુબાજુના ગામડાંના લોકોને ટોલટેક્સમાંથી મુક્તિ માટે ખેડૂતોની બેઠક મળી હતી. ઈકબાલગઢ ગંજ બજારમાં અમીરગઢ, ઈકબાલગઢ, વિરમપુર સહિતના ખેડૂત આગેવાનો અને વાહન ચાલકોએ મોટી સંખ્યા એકત્ર થઈ 20 કિલોમીટર એરિયાના વાહનોને ટેક્સમાંથી મુક્તિ અપાવવાની માંગ કરી હતી.
ખેમાણા ટોલ ટેક્સ નાકા પર સ્થાનિક લોકોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની માગ સાથે અમીરગઢ કિસાન સંઘ દ્વારા બેઠક યોજાઈ હતી. ત્યારબાદ આગેવાનોએ ખીમાણા ટોલ પ્લાઝાના જવાબદાર અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ત્યારબાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી આગામી 15 દિવસમાં જો સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ નહીં આપવામાં આવે તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
બનાસકાંઠાના અમીરગઢ, ઈકબાલગઢ, વિરમપુર સહિતના વિસ્તારના લોકો જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં કામ અર્થે જતા હોય છે, નાના મોટા કામ માટે પાલનપુર જતા અધવચ્ચે ખીમાણા ટોલ પ્લાઝા આવે છે. જે ટોલ નાકુ સ્થાનિકો માટે વર્ષોથી ટોલ મુક્ત હતુ, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ટોલ પ્લાઝા ઉપર સ્થાનિક લોકોને ટોલ મુક્ત ન કરાતા રોષ ભભૂક્યો હતો. સોમવારે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગંજ બજારમાં અમીરગઢ, ઈકબાલગઢ, વિરમપુર સહિતના ખેડૂતો અને વાહન ચાલકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જે બાદ ખિમાણા ટોલ પ્લાઝા ઉપર જવાબદાર અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. આગામી સમયમાં ટોલ ટેક્સ મુક્ત કરવામાં નહીં આવે તો આ વિસ્તારમાં ખેડૂતો અને વાહન ચાલકો મોટી સંખ્યામાં ટોલનાકા પર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. સ્થાનિક લોકો પાસેથી વર્ષોથી ટોલટેક્સ ઉઘરાવ્યો નથી અને હવે શરૂઆત કરી છે, જેથી ગ્રામજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.