રાજકોટઃ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન કમોસમી વરસાદ થયો છે ત્યારે તાલુકા સેવા સદન મહુવા ખાતે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ તાકીદની બેઠક યોજી હતી.
આ બેઠક બાદ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મહુવાના ભાદ્રોડ ગામની મુલાકાત લઈને ખેડૂતો અને સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજીને મહુવા, જેસર અને ગારિયાધાર તાલુકામાં થયેલ કમોસમી વરસાદ તેમજ ખેડૂતોને થયેલ નુકસાન અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. આ તકે જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, ધારાસભ્ય શિવા ગોહિલ, ધારાસભ્ય સુધીર વાઘાણી, આગેવાન દિગ્વિજયસિંહ ગોહિલ, પ્રાંત અધિકારી ધવલ રવૈયા સહિત જિલ્લા તેમજ તાલુકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

