1. Home
  2. ગુજરાતી
  3. પેટ્રોલ-ડીઝલના વેચાણ પરના તમામ કામચલાઉ પ્રતિબંધો હટશે, કેન્દ્ર સરકારનો નિર્ણય
પેટ્રોલ-ડીઝલના વેચાણ પરના તમામ કામચલાઉ પ્રતિબંધો હટશે, કેન્દ્ર સરકારનો નિર્ણય

પેટ્રોલ-ડીઝલના વેચાણ પરના તમામ કામચલાઉ પ્રતિબંધો હટશે, કેન્દ્ર સરકારનો નિર્ણય

0
Social Share

નવી દિલ્હી, 30 જૂન 2026: કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ તેમજ વિતરણ પર લાદવામાં આવેલા કામચલાઉ પ્રતિબંધોને પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જાહેરાત કરી છે કે, 1 જુલાઈ, 2026થી જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓના રિટેલ વેચાણ કેન્દ્રો દ્વારા મોટર સ્પિરિટ (પેટ્રોલ) અને હાઈ સ્પીડ ડીઝલ (HSD)ના વેચાણ પર લાગુ કામચલાઉ નિયમનકારી પગલાં સમાપ્ત કરી દેવામાં આવશે.

સરકારે જણાવ્યું કે, પશ્ચિમ એશિયામાં સર્જાયેલી ભૂ-રાજકીય કટોકટી દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને ઈંધણના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો. આમ છતાં સરકારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ સ્થિર રાખ્યા હતા, જેથી સામાન્ય ગ્રાહકો પર મોંઘવારીનો વધારાનો બોજ ન પડે.

જો કે, છૂટક ભાવ સ્થિર રહેવા અને જથ્થાબંધ ગ્રાહકો માટે લાગુ ભાવમાં તફાવત વધવાને કારણે ઘણા ઔદ્યોગિક, વ્યાવસાયિક અને સંસ્થાકીય ગ્રાહકોએ રિટેલ પેટ્રોલ પંપ પરથી મોટી માત્રામાં ઈંધણ ખરીદવાનું શરૂ કર્યું હતું. આનાથી ઘણા સ્થળોએ ઈંધણની સંગ્રહખોરી, હેરાફેરી અને કાળાબજારીની ફરિયાદો સામે આવી હતી, જેના કારણે સામાન્ય ગ્રાહકો માટે ઈંધણનો સમાન અને સરળ પુરવઠો પ્રભાવિત થવા લાગ્યો હતો.

  • 12 જૂનના રોજ કામચલાઉ નિયમનકારી પગલાં લાગુ કર્યા હતા

આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે 12 જૂનના રોજ કામચલાઉ નિયમનકારી પગલાં લાગુ કર્યા હતા. આ હેઠળ, રિટેલ પેટ્રોલ પંપ પર પ્રતિ ગ્રાહક કે વાહન દીઠ મહત્તમ 200 લીટર હાઈ સ્પીડ ડીઝલ (HSD) આપવાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. સાથે જ ઔદ્યોગિક, વ્યાવસાયિક અને સંસ્થાકીય ગ્રાહકોને સૂચના આપવામાં આવી હતી કે તેઓ ઈંધણની ખરીદી રિટેલ પંપને બદલે નિર્ધારિત ગ્રાહક પંપ પરથી કરે.

સરકારનું કહેવું છે કે, આ પગલાંનો ઉદ્દેશ્ય સામાન્ય ગ્રાહકો માટે પેટ્રોલ અને ડીઝલની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો અને કાળાબજારી તથા સંગ્રહખોરી પર રોક લગાવવાનો હતો. મંત્રાલય અનુસાર, આ પ્રતિબંધોથી દેશભરમાં છૂટક ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવામાં અને ઈંધણની પૂરતી ઉપલબ્ધતા જાળવવામાં મદદ મળી હતી.

પેટ્રોલિયમ ઉત્પાદનોની વર્તમાન પુરવઠા સ્થિતિની સમીક્ષા કર્યા બાદ સરકાર આ નિષ્કર્ષ પર પહોંચી છે કે હવે કામચલાઉ પ્રતિબંધોની જરૂર રહી નથી. તેથી, 12 જૂન, 2026 ના રોજ જારી કરાયેલ આદેશને 1 જુલાઈ, 2026 થી અસરકારક રીતે પાછા ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code