Site icon Revoi.in

અમદાવાદમાં અસહ્ય તાપમાન સામે AMCનો એક્શનપ્લાન નિષ્ફળ

Social Share

અમદાવાદઃ શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. ને હવામાન વિભાગે બે દિવસમાં તાપમાનનો પારો 43 ડિગ્રી પહોંચવાની આગાહી કરી છે. ત્યારે તાપમાનમાં શહેરીજનોને અસહ્ય ગરમીથી બચાવવા માટે મ્યુનિ.કોર્પોરેશનનો એક્શન પ્લાન નિષ્ફળ ગયો છે. શહેરના મોટાભાગના ક્રોસ રોડ પર બપોરના ટાણે ટ્રાફિક સિગ્નલો ચાલુ હોય છે. તેથી વાહનચાલકો ગરમીમાં શેકાય રહ્યા છે. એએમટીએસ અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર ઠંડા પાણીની સુવિધા નથી. ચાર રસ્તાઓ પર ગ્રીન નેટ ઊભી કરવામાં આવી નથી. તેમજ ચાર રસ્તાઓ પર મોટાભાગના ફુવારા બંધ હાલતમાં છે.

અમદાવાદ શહેરમાં લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. અસહ્ય ગરમીથી શહેરીજનોને બચાવવા માટે મ્યુનિ.કોર્પોરેશન હિટ એક્શન પ્લાન બનાવતું હોય છે. જોકે આ વર્ષે ગરમી વહેલા આવી અને હજુ હિટ એક્શન પ્લાનના કોઈ ઠેકાણા નથી. હાલ તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે, અને બુધવારથી તાપમાનનો પારો 43 ડિગ્રી પહોંચવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે શહેરીજનોને તાપમાનથી બચાવવા માટે મ્યુનિનો એક્શન પ્લાન દેખાતો નથી. અસહ્ય ગરમી વચ્ચે લોકો રાહત મેળવવા ઠંડા પીણા તરફ વળ્યા છે. જ્યાં લોકો પોતાની જોડે પાણી કે અન્ય પ્રવાહી રાખવા સાથે પ્રવાહી ન હોય તો શેરડીનો રસ અને અન્ય પ્રવાહીનો સહારો લઈ રહ્યા છે જેથી ગરમીમાં રાહત મળી શકે. કેમ કે ગરમીમાં સૌથી વધુ ડિહાઇડ્રેશનની અસર થતી હોય છે. જેનાથી બચવા લોકો વિવિધ પ્રયાસ કરતા હોય છે. જેમાં આ એક કારગર પ્રયાસ કહી શકાય. જે લોકોનું પણ માનવું છે.

અમદાવાદમાં શહેરીજનોને રાહત મળે માટે મ્યુનિ.કોર્પોરેશન  હિટ એકશન પ્લાન પણ બનાવતું હોય છે. જે પ્લાન અંતર્ગત શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ, તેમજ  આરોગ્ય કેન્દ્રો સહિત જરૂરી જગ્યા પર ઓઆરએસ અને પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. તેમજ કેટલાક વર્ષથી મ્યુનિ. દ્વારા શહેરના કેટલાક ચાર રસ્તા પર ગ્રીન નેટ અને ફુવારાની વ્યવસ્થા કરાય છે. જે વ્યવસ્થાથી સિગ્નલ બંધ રહે ત્યાં સુધી  સિગ્નલ પર ઉભા રહેતા લોકોને રાહત મળે. પણ મ્યુનિ આવી સુવિધા ઊભી કરવામાં નિષ્ફળ નિવડી છે.

ઉલ્લેખનીય છે કે હાલ ગ્લોબલ વોર્મિંગના કારણે તમામ ઋતુઓમાં ફેરફાર આવ્યા છે. જેના કારણે દર વર્ષે જે સમયે શરૂ થતી ગરમી કરતા આ વર્ષે ગરમીની શરૂઆત વહેલા થઈ છે. તેમ જ આ વર્ષે વધુ ગરમી પડવાની પણ શક્યતાઓ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. અને તેવામાં જો શહેરમાં અસુવિધાઓ સર્જાય તો ડિહાઇડ્રેશનના કેસોની સંખ્યામાં વધારો જોવા મળે. તેમ જ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થાય. અને લોકો હલાકીમાં પણ મુકાય. ત્યારે જોવાનું એ રહે છે કે સતત વધતી જતી ગરમી અને લોકોની ડિમાન્ડ વચ્ચે તંત્ર શહેરીજનોને ગરમીમાં રાહત કઈ રીતે અને ક્યારે આપી શકે છે.