1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટના એક કલાકારે સૂર સામ્રાજ્ઞી લતાદીદીનું સ્મૃતિ મંદિર બનાવવાનો કર્યો નિર્ણય

રાજકોટના એક કલાકારે સૂર સામ્રાજ્ઞી લતાદીદીનું સ્મૃતિ મંદિર બનાવવાનો કર્યો નિર્ણય

0
Social Share

રાજકોટઃ  સૂરસમ્રાજ્ઞી લતા મંગેશકરે નિધનથી સંગીતની દુનિયામાં ન પુરી શકાય તેવી ખોટ પડી છે. લતા મંગેશકરને લોકો અલગ અલગ રીતે આજે યાદ કરે છે અને તેમની સાથેના પોતાનાં સંસ્મરણો વાગોળે છે. રાજકોટના આવા જ એક કલાકાર, જેમનું નામ ભૂપેન્દ્રભાઇ વસાવડા છે, તેમનો પણ લતાજી સાથેનો નાતો વિશેષ રહ્યો છે. તેમણે રાજકોટમાં લતાદીદીનું એક સ્મૃતિ મંદિર બનાવવાની લાગણી વ્યક્ત કરી છે. આ મંદિર કેવું અને કઈ રીતનું બનાવવું એ અંગે આગામી દિવસોમાં તેઓ આયોજન કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં અનેક કલાકારો છે તેમને લતા દીદી સાથે વ્યક્તિગત સંપર્ક રહ્યા હતા. તેમાં રાજકોટના ભૂપેન્દ્ર વસાવડાનો પણ સમાવેશ થાય છે. ભૂપેન્દ્રભાઇ વસાવડાની લતા મંગેશકર સાથે વર્ષ 1954માં મુલાકાત થઇ હતી. અમદાવાદ ખાતેની એક સુગમ સંગીતની હરીફાઇમાં ભૂપેન્દ્રભાઇએ ભાગ લીધો હતો અને એના જજ તરીકે લતા મંગેશકરજી ઉપસ્થિત રહ્યાં હતાં. દરેક પ્રતિસ્પર્ધીએ એક ગીત ગાવાનું હોય છે, જ્યારે ભૂપેન્દ્રભાઇએ ગીત ગાયું ત્યારે સૌકોઇ મંત્રમુગ્ઘ થઇ ગયા હતા. લતાદીદીને પણ ભૂપેન્દ્રભાઇનું ગીત ખૂબ ગમ્યું હતું, તેથી તેમણે ભૂપેન્દ્રભાઇને તેની નજીક બોલાવ્યા હતા અને બીજું ગીત ગાવા માટે કહ્યું હતુ. લતાજી ભૂપેન્દ્રભાઇના ગીતથી ખૂબ ખુશ થયા હતા અને સુગમ સંગીતની એ સ્પર્ધામાં તેમને ગોલ્ડ મેડલ મળ્યું હતું.

વર્ષ 1954થી ભૂપેન્દ્રભાઇ લતાજી સાથે સંપર્કમાં આવ્યા હતા. તેમના સંગીતે લતાદીદીને પણ મંત્રમુગ્ધ કરી દીધા હતા. એ બાદ ભૂપેન્દ્રભાઇ દર વર્ષે લતાદીદીએ સ્થાપના કરેલા ગણેશ મહોત્સવનાં દર્શન માટે જતા હતા. ભૂપેન્દ્રભાઇ રાજકોટના પેંડા અને ચૂરમાના લાડુ ગણેશજીના પ્રસાદ માટે લઇ જતા હતા. દર વર્ષે તેઓ ગણેશજીની સાથે લતાજીનાં દર્શન પણ કરતા હતા અને તેમની તબિયતના ખબરઅંતર પૂછતા હતા.

ભૂપેન્દ્રભાઇના લતાદીદી સાથેના સંબંધો ખૂબ જ લાગણીસભર હતા. દીદીની તબિયત નાજુક થઇ ત્યારથી તેઓ તેના પીએના સંપર્કમાં હતા અને તેમની તબિયત વિશે માહિતી મેળવતા રહેતા હતા. લતાજીના નિધનના બે દિવસ પહેલાં પણ તેમણે ખબરઅંતર પૂછ્યા હતા. જ્યારે તેમનું નિધન થયું ત્યારે તેમણે દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. તેઓ લતાદીદીના અંતિમસંસ્કારમાં પ્રત્યક્ષ તો જઇ શક્યા નથી, પરંતુ તેમણે ટીવીના માધ્યમથી તેમનાં અંતિમ દર્શન કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. હવે રાજકોટમાં લતા દીદીનું  સ્મૃતિ મંદિર બનાવવાનું નક્કી કર્યું છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code