ગુજરાત કોંગ્રેસનો વધુ એક સિનિયર નેતાએ સાથ છોડ્યો, પાર્ટીની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી કોંગ્રેસ સત્તાથી દૂર છે. બીજી તરફ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક વર્ષોથી આંતરીક જૂથવાદને પગલે કોંગ્રેસ ધીમે-ધીમે તૂટી રહી છે. તેમજ અનેક સિનિયર નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. દરમિયાન ગુજરાત કોંગ્રેસનો મજબુત પથ્થર ગણાતા જયરાજસિંહ પરમારે પણ અંતે કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. એટલું જ નહીં જયરાજસિંહ પરમારે કાર્યકરોને ઉલ્લેખીને લખેલા પત્રમાં પોતાની વ્યથા ઠાલવી હતી. તેઓ આગામી દિવસોમાં ભાજપમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ છે.
કોંગ્રેસનો હાથ છોડ્યા બાદ જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, 37 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલો છું. પક્ષમાં પુરી તાકાતથી વિપરીત પરિસ્થિતિમાં કામ કર્યું છે. મારા પરિવારજનો અને મિત્રવર્તુળ મને જયરાજસિંહ એટલે કોંગ્રેસ તરીકે જ ઓળખે છે. પરંતુ કેટલાક નેતાઓની નિષ્ક્રિયાથી થાક્યો છું. કોંગ્રેસમાં કોઈ કોઈનું નથી, એક નેતા બીજા નેતાને સહન કરી શકતા નથી. કોંગ્રેસમાં કોઈ સુધારો થયો નથી અને સુધારો થાય તેવુ દેખાતું નથી. છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસની વિવિધ કમીટીઓમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. એટલું જ નહીં ચૂંટણીઓમાં હારેલા નેતાઓ જીતેલા નેતાઓને ચૂંટણી કેવી રીતે જીતાય તે શિખવાડે છે. કોંગ્રેસમાં કોઈ ફેરફાર થાય તેવી શકયતાઓ જોવા મળતી નથી. એટલું જ નહીં હજુ આગામી 27 વર્ષ આવી જ સ્થિતિ રહેવાની શકયતા છે. કોંગ્રેસમાં નવા લોકોને અજમાવાના કોઈ પ્રયાસો થતા જ નથી. પક્ષના નેતાઓએ આત્મચિંતન કરવું જોઈએ.
કોંગ્રેસના નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, પાર્ટી છોડવાના નિર્ણય કર્યો ત્યારે કોઈ સિનિયર નેતાઓએ સમજાવવાના પ્રયાસ કર્યાં નતી. એક જ દિવસમાં જગદીશ ઠાકોર સાથે 3 વાર વાત થઈ અને તેમનો એક ફોન આવ્યો હતો. જો કે, અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ નહીં છોડવા માટે મને સમજાવવાના ખુબ પ્રયાસો કર્યાં હતા. જ્યારે અન્ય કોઈ નેતાએ ફોન કર્યો નથી. જ્યારે કેટલાક નેતાઓ એવુ કહી રહ્યાં છે કે, 5 કે 25 જાય તો તેનાથી કોંગ્રેસને કોઈ ફેર નહીં પરંતુ તેમને મારે કહેવું છે કે, પાર્ટીમાં કોઈ સુધારો નહીં આવે તો 5થી 25 જણા જ રહેશો..
ભાજપમાં જોડાવવા અંગે તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં બે જ રાજકીય પાર્ટીઓ છે. હજુ સુધી કોઈ પાર્ટીમાં જોડાવવાનો નિર્ણય નથી પરંતુ આગામી દિવસોમાં આ અંગે નિર્ણય લઈશ. મે કોંગ્રેસ છોડ્યું છે રાજકારણ છોડ્યું નથી. એટલે લોકોની સેવા કરવાની ચાલુ જ રાખીશ.