વડોદરા,12 જુન, 2026 : Anti-social elements fire on 3 people શહેરના કુંભારવાડા વિસ્તારમાં મન્સૂરી કબ્રસ્તાન પાસે નશાના પદાર્થો વેચતા લુખ્ખા તત્વો લૂખ્ખાગીરી કરીને સ્થાનિક લોકોને પરેશાન કરતા હોવાથી ત્રણ લોકોએ લૂખ્ખાગીરી બંધ કરવા ઠપકો આપતા આરોપીઓએ ચાર રાઉન્ડ ફાયરિંગ કરતા આ વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. જો કે ફારયિંગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને પોલીસે કેટલાક આરોપીઓને રાઉન્ડ અપ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગો પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સાજીદ નજીબુદ્દીન શેખની ફરિયાદ મુજબ, રાત્રે લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ શહેરના કુંભારવાડા વિસ્તારમાં રામરાજ હોટેલની નીચેના ઢાળના ખાંચામાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, સુફિયાન સિકંદર ખાન પઠાણ અને તેના અન્ય સાથીઓએ ફરિયાદી ઉપર ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ જૂની અંગત અદાવતના કારણે થયું છે. જેથી પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈને કાર્યવાહી કરવામાં આવી હતી. મુખ્ય આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. તપાસ હાલ ચાલુ છે.
આ અંગે ફરિયાદી સાજિદ શેખે જણાવ્યું હતું કે, શહેરના કુંભારવાડા હાથીખાના વિસ્તારમાં, મન્સૂરી કબ્રસ્તાન પાસે નશાના પદાર્થો વેચતા લુખ્ખા તત્વોએ સ્થાનિક લોકોને ભારે હેરાનગતિ કરી છે. છોકરીઓને પણ આ હેરાનગતિને કારણે તેમના આવવા-જવાના રસ્તા બદલી નાખ્યા છે. જ્યારે સ્થાનિકોએ આ પ્રવૃત્તિ બંધ કરવાની વિનંતી કરી ત્યારે આ તત્વોએ આ અદાવતમાં ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના લગભગ સવારે 3 વાગ્યાની વચ્ચે બની હતી.

