
અંબાજીઃ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. મેળાના પ્રથમ બે દિવસમાં લાખો શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા હતા. અને હાલ અંબાજી આવતા તમામ માર્ગો પર પગપાળા યાત્રિકોની વણઝાર જોવા મળી રહી છે. તમામ રસ્તાઓ પર માઇભક્તો ગરબાની રમઝટ સાથે આગળ વધી રહ્યાં છે. અંબાજી વિસ્તારના ડુંગરાઓ સોળે કળાએ ખીલ્યા હોવાથી પ્રકૃતિના સાંનિધ્યમાં હવે અંબાજી મુકામે મિનીકુંભનો માહોલ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે ઠેર ઠેર વિશાળ પ્રમાણમાં સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. મેળાની વ્યવસ્થા માટે જુદી જુદી 29 સમિતિઓ બનાવી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન વરુણકુમાર બરનવાલ મેળાની સમગ્ર પરિસ્થિતિ પર સીધી નજર રાખી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે. દાંતા-અંબાજી વિસ્તારના ડુંગરાઓ જાણે જીવંત બન્યા છે અને ચારેબાજુ બસ ભક્તિરસની જ રમઝટ જોવા મળી રહી છે. દૂર દૂરથી યાત્રિકો ‘બોલ મારી અંબે જય જય અંબે’ના પ્રચંડ જયઘોષ સાથે અંબાજીના ડુંગરાઓ ચઢી રહ્યા છે. સંઘમાં આવતા માઇભક્તો માતાજીના રથને ભક્તિભાવપૂર્વક ખેંચીને તેમજ ગરબાના તાલે રમતા-ઝુમતા અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. અંબાજી તરફ જતાં રસ્તાઓ ઉપર ઠેર ઠેર સ્થળોએ વિવિધ સેવાકેન્દ્રો કાર્યરત કરાયા છે. જેમાં યાત્રિકોને ચા-પાણી, નાસ્તો, જમવાનું તથા વિસામાની સગવડ મળે છે. મેળા પ્રસંગે માઇભક્તો ભક્તિમાં જાણે તરબોળ બન્યાં છે. રસ્તાઓ ઉપર વિવિધ સેવાકેન્દ્રોના સંચાલકો અને સ્વયંસેવકો પદયાત્રિકોને આદરપૂર્વક વિનવણી કરીને ચા-નાસ્તો, જમવાની સેવાનો લાભ લેવા આગ્રહ કરતા જોવા મળે છે. સેવાકેન્દ્રો ઉપર પણ ભક્તિ સંગીત, ગરબાના તાલે માઇભક્તો ઝુમી રહ્યા છે.