પશ્ચિમ બંગાળમાં હવે આયુષ્માન ભારત યોજના લાગુ થશે
નવી દિલ્હી, 8 જૂન 2026: પશ્ચિમ બંગાળના સ્વાસ્થ્ય ક્ષેત્રે આજે એક ઐતિહાસિક અને મોટો બદલાવ આવવા જઈ રહ્યો છે. રાજ્યમાં કેન્દ્ર સરકારની અતિ મહત્વાકાંક્ષી હેલ્થ ઈન્સ્યોરન્સ યોજના ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ લાગુ થવા જઈ રહી છે. આ હેતુસર આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે સત્તાવાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ ઐતિહાસિક કરાર સાથે જ પશ્ચિમ બંગાળ આ મફત સ્વાસ્થ્ય યોજનાને અપનાવનાર દેશનું 36મું રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ બની જશે.
આ મહત્વપૂર્ણ કરાર સમારોહ ખૂબ જ ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો છે જેમાં બંને સરકારના ઉચ્ચ નેતૃત્વની ઉપસ્થિતિ રહેશે.આ MOU પર હસ્તાક્ષર સમારોહની અધ્યક્ષતા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડા કરશે. આ સમારોહમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી પણ ખાસ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલ, પ્રતાપ રાવ જાધવ અને પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ મનોજ કુમાર અગ્રવાલ સહિત NHAના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે.
અત્યાર સુધી પશ્ચિમ બંગાળ આ કેન્દ્રીય યોજનાથી અલગ રહ્યું હતું, પરંતુ હવે બંગાળ જોડાતાં જ આ યોજનાનો વ્યાપ સમગ્ર ભારતમાં સાર્વત્રિક બની જશે. આ કરાર બાદ આગામી જુલાઈ મહિનાથી રાજ્યમાં આયુષ્માન કાર્ડ વિતરણની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવશે, જેનાથી બંગાળના નાગરિકો દેશની કોઈપણ પેનલ ધરાવતી હોસ્પિટલમાં મફત સારવાર કરાવી શકશે.


