Site icon Revoi.in

બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન લૈંગિક ભેદભાવને દૂર કરવામાં મદદરૂપ થયું છેઃ પ્રધાનમંત્રી

Social Share

નવી દિલ્હીઃ બેટી બચાઓ, બેટી પઢાઓ આંદોલનને આજે 10 વર્ષ પૂર્ણ થવાનાં પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ આંદોલન પરિવર્તનકારી, જનશક્તિશાળી પહેલ બની ગયું છે અને જીવનનાં તમામ ક્ષેત્રોનાં લોકો પાસેથી સહભાગીતા પ્રાપ્ત કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બેટી બચાઓ, બેટી પઢાઓએ લિંગ ભેદભાવ દૂર કરવામાં અને બાળકીઓને સશક્ત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નરેન્દ્ર મોદીએ વધુમાં નોંધ્યું હતું કે, ઐતિહાસિક રીતે બાળકોનું લિંગપ્રમાણ ઓછું હોય તેવા જિલ્લાઓમાં નોંધપાત્ર સુધારો નોંધાયો છે તથા આ આંદોલનને પાયાનાં સ્તરે જીવંત બનાવનાર તમામ હિતધારકોની પ્રશંસા કરી હતી.

X પર થ્રેડ પોસ્ટમાં, તેમણે લખ્યું હતું કે, “આજે આપણે #BetiBachaoBetiPadhao આંદોલનનાં 10 વર્ષ પૂર્ણ કરી રહ્યાં છીએ. છેલ્લા એક દાયકામાં, તે એક પરિવર્તનકારી, લોકો દ્વારા સંચાલિત પહેલ બની ગઈ છે અને જીવનના દરેક ક્ષેત્રના લોકોની ભાગીદારી મેળવી છે.” “# BetiBachaoBetiPadhao  અભિયાને લૈંગિક ભેદભાવ દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે અને સાથે જ તેણે એ સુનિશ્ચિત કરવા માટે યોગ્ય વાતાવરણ બનાવ્યું છે કે બાળકીઓને શિક્ષણ અને તેના સપનાઓ પૂરા કરવાની તકો મળી રહે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “લોકો અને વિવિધ સામુદાયિક સેવા સંસ્થાઓનાં સમર્પિત પ્રયાસોને કારણે #BetiBachaoBetiPadhao નોંધપાત્ર સીમાચિહ્નો હાંસલ કર્યા છે. ઐતિહાસિક રીતે નીચા બાળ લૈંગિક ગુણોત્તર ધરાવતા જિલ્લાઓમાં નોંધપાત્ર સુધારો નોંધાયો છે અને જાગૃતિ અભિયાનોએ લિંગ સમાનતાના મહત્ત્વની ઊંડી સમજ પેદા કરી છે.”

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હું તમામ હિતધારકોને અભિનંદન આપું છું, જેમણે આ આંદોલનને પાયાનાં સ્તરે જીવંત બનાવ્યું છે. ચાલો આપણે આપણી દીકરીઓના અધિકારોનું રક્ષણ કરતા રહીએ, તેમના શિક્ષણની ખાતરી કરતા રહીએ અને એક એવા સમાજનું નિર્માણ કરીએ જ્યાં તેઓ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સમૃદ્ધ થઈ શકે. આપણે સૌ સાથે મળીને એ બાબતની ખાતરી કરી શકીએ છીએ કે આવનારાં વર્ષો ભારતની દિકરીઓ માટે હજુ વધારે પ્રગતિ અને તક લઈને આવશે.