ઊનાના દરિયામાં બોટની જળસમાધીઃ 7 ખલાસીઓનો ચમત્કારિક બચાવ
અમદાવાદઃ ઊનાના દરિયામાં માછીમારી કરવા ગયેલી બોટમાં દરિયાનું પાણી ભરાતા બોટ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જો કે, તેમાં સવાર માછીમારોએ દરિયામાં છલાંગ લગાવીને મદદ માટે બુમાબુમ કરતા આસપાસમાં માછીમારી કરતી અન્ય બોટના ખલાસીઓએ તેમને બચાવી લીધા હતા. આ બનાવમાં સાત ખલાસીઓનો બચાવ થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સૈદય રાજપરા ગામે રહેતા બાબુભાઇ રામાભાઇ ગોહીલની બોટમાં સાત ખલાસીઓ સાથે મધ દરીયામાં માછીમારી કરવા ગયા હતા. સૈયદ રાજપરા બંદરથી 15 નોટીકલ માઇલ દૂર બોટનું મશીન ખરાબ થઈ ગયું હતું. જેથી રાત્રિના સમયે માછીમારો બોટમાં સૂઈ ગયા હતા. બીજી તરફ દરિયામાં કરંટ હોવાથી ઉંચા મોજા ઉછડતા હતા. દરમિયાન બોટમાં દરિયાઈ પાણી ઘુસી જતા બોટ ડુબલા લાગી હતી. પરિણામે જાગી ગયેલા ખલાસીઓએ જીવ બચાવવા દરિયામાં છલાંગ લગાવી હતી. તેમજ મદદ માટે બુમાબુમ કરતા નજીકમાં માછીમારી કરતી અન્ય બોટના ખલાસીઓએ તેમને બચાવી લીધા હતા. આ બનાવને પગલે બચાવ કામગીરી માટે સૈયદ રાજપરા બંદર કાંઠેથી અન્ય બોટો દરિયામાં ગઈ હતી. તેમજ ખલાસીઓને પરત લાવવામાં આવ્યાં હતા.