યુપી એટીએસ દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના જાસૂસની અટકાયત
લખનૌ, 21 જુલાઈ 2026: ઉત્તર પ્રદેશ એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડએ દેશ વિરોધી પ્રવૃત્તિઓ ચલાવતા નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરીને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી કરતા એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે. એટીએસના જણાવ્યા અનુસાર, પકડાયેલો આરોપી પાકિસ્તાનમાં બેઠેલા આઈએસઆઈ એજન્ટના સીધા સંપર્કમાં હતો અને તેના નિર્દેશો અનુસાર ભારતમાં દેશવિરોધી કાવતરાં રચવાની તૈયારી કરી રહ્યો હતો. તપાસ દરમિયાન એવો ભયાનક ખુલાસો થયો છે કે આરોપીને ભારત સાથે જોડાયેલી કોઈ પણ સંવેદનશીલ માહિતી કે દેશવિરોધી કામગીરીના બદલામાં પ્રતિ કડી રુ. 5,000 ચૂકવવામાં આવતા હતા. હાલમાં સુરક્ષા એજન્સીઓ આરોપીની કડક પૂછપરછ કરી રહી છે.
એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા આરોપીની ઓળખ બલરામપુર જિલ્લાના રામવાપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા જાનુઈ ગામના રહેવાસી 29 વર્ષીય શહેરૌઝ અહેમદ તરીકે થઈ છે. એટીએસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે તે સોશિયલ મીડિયા અને એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્લિકેશન્સ દ્વારા પાકિસ્તાનમાં હાજર આઈએસઆઈ એજન્ટ જસવીર ચૌધરીના સતત સંપર્કમાં હતો. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આરોપીને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા, દેશવિરોધી માનસિકતા ધરાવતા યુવાનોની ભરતી કરવા અને મહત્વપૂર્ણ લશ્કરી તથા સંવેદનશીલ સ્થળોની માહિતી એકઠી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
-
આરોપી જાસુસી માટે રાજસ્થાનના શ્રી ગંગાનગર ગયો હતો
પૂછપરછ દરમિયાન આરોપી શહેરૌઝે કબૂલાત કરી હતી કે તે રાજસ્થાનના શ્રી ગંગાનગર ગયો હતો, જ્યાં તેને શસ્ત્રો અને વિસ્ફોટક સામગ્રી પૂરી પાડવામાં આવી હતી. આ સામગ્રી મેળવ્યા બાદ તે મુંબઈ પણ ગયો હતો, પરંતુ ત્યાં તે પોતાના મિશનમાં સફળ થઈ શક્યો ન હતો. આ ઉપરાંત, તે ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશવિરોધી પ્રચાર પણ કરતો હતો અને અન્યોને ખાનગી એન્ક્રિપ્ટેડ એપ્સ ડાઉનલોડ કરવા માટે ઉશ્કેરતો હતો. આ તમામ પ્રવૃત્તિઓ માટે તેને મોટું નાણાકીય ભંડોળ મળતું હતું. આરોપીના ડિજિટલ ઉપકરણોમાંથી એટીએસને અનેક મહત્વપૂર્ણ પુરાવાઓ મળી આવ્યા છે.
તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, શહેરૌઝ અહેમદ સૌથી પહેલા ફેસબુકના માધ્યમથી આઈએસઆઈ એજન્ટ જસવીર ચૌધરીના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે વોટ્સએપ, મેસેન્જર અને સિગ્નલ જેવી વિવિધ એન્ક્રિપ્ટેડ એપ્લિકેશન્સ પર વાતચીત થવા લાગી હતી. જસવીરે તેને વિવિધ પ્રકારની મદદ અને નાણાકીય લાલચ આપીને રાષ્ટ્રવિરોધી ષડયંત્રમાં સામેલ કર્યો હતો. આ લાલચમાં આવીને શહેરૌઝ ભારતની સુરક્ષાને નુકસાન પહોંચાડે તેવી અત્યંત સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલી રહ્યો હતો. આ અંગે એટીએસે બલરામપુરમાં વિધિવત કેસ નોંધાવીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.


