- ફોરેસ્ટ અધિકારીનો સંયુક્ત પરિવાર સુરત રહેતો હતો,
- વેકેશનમાં ફોરેસ્ટ અધિકારીની પત્ની અને બાળકો ભાવનગર આવ્યા હતા,
- સુરત જવા નિકળ્યા બાદ 10 દિવસથી ગુમ હતા
ભાવનગરઃ શહેરમાં ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવતા શૈલેશ ખાંભલાના પત્ની નયનાબેન અને દીકરી પૃથા રબારી અને દીકરો ભવ્ય રબારી છેલ્લા 10 દિવસથી લાપતા હતા, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બે સંતાોનીની શહેરના કાચના મંદિર પાસે આવેલી ફોરેસ્ટ કોલોની નજીક એક ખાડામાં દાટી દીધેલી લાશો મળી આવતા ચકચાર મચી છે. બંને સંતાનો સાથે માતા 10 દિવસ પહેલા સુરત જવા નીકળ્યા બાદ ગુમ થયા હતા. જેની પોલીસને જાણ પણ કરવામાં આવી હતી. ત્રણેયની હત્યા કરી લાશનો દાટી દેવાઈ હોવાની પ્રબળ આશંકા સેવવામાં આવી રહી છે. ભાવનગર પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ફોરેસ્ટ અધિકારીના પત્ની નયના રબારી અને તેમના બે બાળકો, દીકરી પૃથા રબારી અને દીકરો ભવ્ય રબારી, છેલ્લા 10 દિવસથી લાપતા હતા. પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી. રવિવારે પોલીસને ફોરેસ્ટ કોલોની નજીકની જમીનમાંથી દુર્ગંધ આવતી હોવાની બાતમી મળી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને શંકાસ્પદ જગ્યાએ ખોદકામ કરતાં ત્યાંથી એક પછી એક ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા, જે કોહવાઈ ગયેલી હાલતમાં હતા. મૃતદેહોની ઓળખ નયના રબારી અને તેમના બે બાળકો પૃથા અને ભવ્ય તરીકે કરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલા કાચના મંદિર પાસે રહેતા ફોરેસ્ટ અધિકારીનો સંયુક્ત પરિવાર સુરત રહે છે, થોડા દિવસ પૂર્વે સુરતથી તેમના 40 વર્ષીય પત્ની નયનાબેન રબારી, 13 વર્ષની પુત્રી પ્રુથા રબારી અને 9 વર્ષીય પુત્ર ભવ્ય રબારી વેકેશન કરવા ભાવનગર આવ્યા હતા. બાદમાં સુરત જવા નીકળ્યા બાદ ગુમ થયા હતા.જેની શોધખોળ કર્યા બાદ પણ કોઈ પત્તો ન લાગતા પોલીસને જાણ પણ કરવામાં આવી હતી. એક સાથે માતા અને બે બાળકોના મૃતદેહ દાટેલી હાલતમાં મળી આવતા આ ઘટના હત્યા હોવાની પ્રબળ આશંકા છે. પોલીસે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી અને ડોગ સ્ક્વોડ તથા FSLની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવી પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી છે. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ હાલમાં આ કેસમાં હત્યાનો ગુનો નોંધીને તપાસ કરી રહી છે અને પરિવારના સભ્યો સહિત આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી દીધી છે. આ સનસનાટીભર્યા કેસમાં પોલીસની શંકાની સોય પરિવારના નજીકના સભ્યો પર જ હોવાનું મનાઈ રહ્યું છે અને ટૂંક સમયમાં મોટો ખુલાસો થવાની સંભાવના છે.

