વૈશ્વિક સ્તરે ભારતીયોનો CEO તરીકે દબદબો, હવે બાર્કલેઝ બેંકના CEO તરીકે ભારતીય મૂળના વેંકટકૃષ્ણનની નિમણૂંક
- વૈશ્વિક સ્તરે CEO તરીકે ભારતીયોની બોલબાલા
- હવે બાર્કલેઝ બેંકના CEO તરીકે ભારતીય મૂળના વેંકટકૃષ્ણનની નિમણૂંક
- હાલમાં વેંકટ બેંકના ગ્લોબલ માર્કેટ હેડ તરીકે કાર્યરત છે
નવી દિલ્હી: વૈશ્વિક સ્તરની કંપનીઓમાં પણ ભારતીયોની કાબેલિયત, આવડત અને કુશળતાને કારણે ભારતીય CEOની માંગ હંમેશા જોવા મળે છે. ભારતીય CEOની હંમેશા બોલબાલા જોવા મળે છે અને તેઓનો દબદબો પણ વધી રહ્યો છે.
ઘણી મોટી કંપનીઓમાં ભારતીય CEO કાર્યરત છે. હવે આ વૈશ્વિક સ્તરના ભારતીય CEOની સૂચિમાં વધુ એક નામ ઉમેરાયું છે. વિશ્વભરમાં વ્યાપક નેટવર્ક ધરાવતી એવી બાર્કલેઝ બેંકના CEO તરીકે ભારતીય મૂળના એસ. વેંકટકૃષ્ણનની નિમણૂંક કરવામાં આવી છે. હાલમાં વેંકટ બેંકના ગ્લોબલ માર્કેટ હેડ તરીકે કાર્યરત છે.
આપને જણાવી દઇએ કે અગાઉ આલ્ફાબેટના CEO તરીકે સુંદર પિચાઇ, એડોબ કંપનીના CEO તરીકે શાંતનુ નારાયણ, માઇક્રોસોફ્ટના સીઇઓ તરીકે સત્યા નાડેલા, માસ્ટર કાર્ડના સીઇઓ તરીકે અજય બગ્ગા છે. જ્યારે નોકિયાના સીઇઓ તરીકે રાજીવ સૂરી છે.
વેંકટે અગાઉ બાર્કલેઝ બેંકમાં ચીફ રિસ્ક ઑફિસર તરીકે પણ કામ કર્યું છે. તેના પહેલા તેઓ જે.પી.મોર્ગનમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. વેંકટની નિમણૂંક બાદ તેઓએ કહ્યું હતું કે, બાર્કલેઝની કામગીરીમાં ફેરફાર માટે હું પ્રતિબદ્વ છું.
નોંધનીય છે કે સરકાર દ્વારા હાલમાં હાથ ધરાયેલી એક તપાસને કારણે વર્તમાન CEO જેસ સ્ટેલને પદ છોડવાની નોબત આવી છે.