ક્રિપ્ટોકરન્સીને લઇને સરકાર બજેટમાં કરી શકે છે મોટી જાહેરાત, આટલો ટેક્સ લગાવે તેવી સંભાવના
- આ બજેટમાં ક્રિપ્ટોકરન્સીને લઇને થઇ શકે છે મોટી જાહેરાત
- ક્રિપ્ટોકરન્સી પર થતી આવકને ટેક્સના દાયરામાં લાવવા સરકારની વિચારણા
- સરકાર તેના પર લગાવી શકે છે આટલો ટેક્સ
નવી દિલ્હી: નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ આગામી 1 ફેબ્રુઆરીના રોજ ચોથીવાર બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. આ વખતના બજેટમાં રોકાણકારો જેની કાગડોળે રાહ જોઇ રહ્યાં છે તે ક્રિપ્ટોકરન્સીને લઇને મોટી જાહેરાત થાય તેવી સંભાવના છે.
સરકાર અત્યારે બજેટ પહેલા ક્રિપ્ટોકરન્સીને ટેક્સના દાયરામાં લાવવા માટે તજજ્ઞોની સલાહ લઇ રહી છે. સરકાર ઇચ્છે છે કે જો કોઇ કંપની કે ફેમિલી ઓફિસની પાસે ક્રિપ્ટોકરન્સી હોલ્ડિંગ હોય તો તેના પર ટેક્સ લાદવામાં આવે. હવે મોટા ભાગની કંપનીઓ ક્રિપ્ટો હોલ્ડિંગ્સને મુખ્ય રીતે બિઝનેસ ઇન્કમ તરીકે દર્શાવે છે. આગામી બજેટમાં સરકાર ક્રિપ્ટોમાં રોકાણ પર ટેક્સ લાગૂ કરવા બાબતે સ્પષ્ટતા કરશે.
ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર સરકારનું કોઇ જ નિયમન કે નિયંત્રણ નથી. તે ઉપરાંત તેની સાથો જોડાયેલ કોઇપણ કાનૂન પણ નથી. તેને કારણે તેને કરન્સી, એસેટ, કોમોડિટી કે સર્વિસ શું માનવામાં આવે તેને લઇને પણ મૂંઝવણ પ્રવર્તી રહી છે. સરકાર એ બાબત પર મંથન કરી રહી છે કે તેનાથી થનારી ઇન્કમને કેપિટલ ગેનના દાયરામાં રાખી શકાય કે નહીં.
એક એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ક્રિપ્ટોની ખરીદ-વેચાણ પર એક્સચેન્જની તરફથી ચાર્જ કરવામાં આવતી ફીઝ પર સરકાર 18 ટકા જીએસટી લગાવી શકે છે. ક્રિપ્ટોથી રોકાણકારોને થયેલા નફા પર 30 ટકાનો શોર્ટ ટર્મ કેપિટલ ગેન ટેક્સ તેમજ 20 ટકાનો કેપિટલ ગેન ટેક્સ લાગૂ કરવામાં આવી શકે છે.