સિવિલ હોસ્પિટલમાં પોતાના સ્વજનની ડેડબોડી શોધતા પરિવારને સ્વજને જ ફોન કર્યો, હું જીવતો છું
અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલના તંત્રએ જેતલપુરના એક દર્દીના સગાને ફોન કરીને કહ્યું હતું કે તમારા સગા મૃત્યુ પામ્યા છે. તેથી પરિવારના 20 સભ્ય મૃતદેહ લેવા સિવિલ પહોંચ્યા હતા અને પોતાના મૃતક સ્વજની ડેડબોડી ન મળતા શોધખોળ શરૂ કરી હતી. ત્યારે અચાનક દર્દીએ સ્વજનોને વીડિયો કોલ કરીને કહ્યું કે હું તો જીવીત છું. દર્દી સાથે વાત કરીને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ સિવિલ હોસ્પિટલની આવી બેદરકારીના કારણે પરિવારના સભ્યોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
જેતલપુર ગામમાં રહેતા રહેતા બાબુભાઈ ભીખાભાઈને કોરોના થતા તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન શનિવારે સવારે સિવિલ તંત્ર તરફથી તેમના સંબંધીઓને ફોન કરીને જણવવામાં આવ્યું હતું કે તમારા સગાનું મોત થયું છે. સ્વજનના મૃત્યુ અંગે સમાચાર જાણીને મૃતકની અંતિમ વિધિ માટે પ્રોટોકોલ મુજબ 20 જેટલા સંબંધીઓ સિવિલ પહોંચ્યા હતા જોકે જ્યારે તેઓ ડેડ બોડી રુમમાં પહોંચ્યા ત્યારે એક લાશ તેમને સોંપવામાં આવી જેની પીપીઈ કીટ ખોલવામાં આવતા અંતિમ દર્શન કરતા પરિવાર અચંબામાં પડી ગયો હતો અને જણાવ્યું હતું આ તેમના સગાનો મૃતદેહ નથી. જે બાદ પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.
પરિવારના સભ્યો શબગૃહમાં જ્યારે મૃતકનો શોધતા હતા ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા વોર્ડમાં તપાસ કરવામાં આવતા બાબુભાઈ જીવીત હતા. જેથી સિવિલના નંબર પરથી દર્દીનો વીડિયો કોલ કરાવવામાં આવ્યો હતો. તેમણે પરિવાર સાથે વાત કરીને કહ્યું કે તેઓ જીવીત છે અને તે જાણીને પરિવારના સભ્યો શાંત પડ્યા હતા. જોકે સિવિલની આ બેદરકારીના કારણે પરિવારના દરેકના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. સિવિલ હોસ્પિટલમાં કોવિડ પ્રોટોકોલ મુજબ મૃતદેહને પેક કરવા સહિતની પ્રક્રિયામાં ખાસ્સો સમય લાગે છે. જ્યારે સ્ટાફ ઓછો હોવાના કારણે આ પ્રક્રિયામાં ખૂબ જ સમય જાય છે. જેથી મૃતદેલ લેવા આવેલા લોકોની લાંબી લાઈનો લાગી છે.