Site icon Revoi.in

સુરેન્દ્રનગર શહેરમાં રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ, વધુ 30 ઢોરને પકડી ડબ્બે પૂર્યા

Social Share

સુરેન્દ્રનગર, 9 એપ્રિલ 2026: Campaign to catch stray cattle શહેરમાં વર્ષોથી રખડતા ઢોરનો ત્રાસ છે. રખડતા ઢોર અડ્ઢો જમાવીને રોડ પર બેસતા હોવાથી વાહનચાલકોને ખૂબ મુશ્કેલી પડતી હતી. શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યા બાદ લોકોને રખડતા ઢોરનો ત્રાસ દૂર થશે એમ લાગતુ હતું પણ સ્થિતિ યથાવત રહી હતી. જોકે  મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક દિવસથી રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ઢોર પકડ ટીમ દ્વારા અત્યાર સુધીમાં કુલ 2258 પશુને પકડવામાં આવ્યા હતા. જે પૈકી 737 પશુને પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે. દરમિયાન વધુ 30 રખડતા ઢોરને પકડવામાં આવ્યા છે.

 સુરેન્દ્રનગર શહેરમાં રખડતા પશુનો ખુબ મોટો ત્રાસ છે. તેમાં પણ રોડ પર આખલાઓ જ્યારે સામસામે આવી જાય છે ત્યારે અનેક લોકોના જીવનું જોખમ થઇ જાય છે. અનેક રજુઆતો બાદ મ્યુનિના સત્તાધિશોએ શહેરમાં ઢોર પકડવાનું અભિયાન હાથ ધર્યું છે. જે અંતર્ગત વધુ 30 પશુને પકડવામાં આવ્યા છે. મ્યુનિએ રખડતા પશુને પકડવા માટે અલગ જ ટીમની વ્યવસ્થા કરી છે. આ ટીમ દ્વારા અત્યાર સુધીમાં કુલ 2258 પશુને પકડવામાં આવ્યા હતા. જે પૈકી 737 પશુને પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે હાલના સમયે 604 પશુનો મ્યુનિ.દ્વારા નિભાવ કરવામાં આવી રહ્યો છે. પાંજરાપોળમાં પણ પશુની સંખ્યા વધી જવાને કારણે હવે પાંજરાપોળ પશુ સ્વીકારવાની ના પાડી રહી છે. આવા સમયે જે વિસ્તારના લોકોની ફરિયાદ આવે છે તે વિસ્તારમાંથી મ્યુનિ.દ્વારા પશુ પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. મ્યુનિની ટીમ દ્વારા ગઈકાલે શહેરના દાળમીલ રોડ, જોરાવરનગર અને 80 ફૂટના રોડ ઉપરથી 30થી વધુ પશુને પકડવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર શહેરમાં રખડતા ઢોરની ફરિયાદમાં ઘટાડો થયો છે, પણ રખડતા કૂતરાની ફરિયાદ વધી ગઇ છે.  મ્યુનિએ રખડતા કૂતરા માટે અમદાવાદની એજન્સીને સર્વે કરવાની કામગીરી સોંપી છે. સર્વે બાદ કૂતરાને રસી અને ખસીકરણ કરવામાં આવશે.

Exit mobile version