મુંબઈ હુમલા કેસના આતંકી તહવ્વુર રાણાની કેનેડાની સરકાર નાગરિકતા રદ કરશે
નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી 2026: મુંબઈ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા કુખ્યાત આતંકવાદી તહવ્વુર રાણાની નાગરિકતા રદ કરવા માટે કેનેડાની સરકારે કવાયત તેજ કરી છે. પાકિસ્તાની મૂળના કહેવાતા વેપારી રાણાએ મુંબઈમાં વર્ષ 2008માં થયેલા આતંકવાદી હુમલામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કેનેડાના પ્રધાન મંત્રી માર્ક કાર્ની આગામી દિવસોમાં ભારતના પ્રવાસે આવી રહ્યાં છે તે પહેલા જ કેનેડાની સરકાર દ્વારા આતંકવાદી રાણાની નાગરિકતા રદ કરવા માટે પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 64 વર્ષિય રાણા વર્ષ 1997માં કેનેડા ગયો અને 2001માં નાગરિકતા મેળવી હતી. મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીનો નજીક હતો. એપ્રિલ 2025માં અમેરિકાથી ભારતને કસ્ટડી સોંપી હતી. નવી મુંબઈ પહોંચતાની સાથે જ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ તેની ધરપકડ કરી હતી.
કેનેડાના ઈમિગ્રેશન વિભાગે જણાવ્યું હતું કે, રાણાની નાગરિકતા આતંકવાદના આરોપસર નહીં પરંતુ ખોટી માહિતી આપવા સબબ રદ કરવામાં આવી રહી છે. રાણાએ પોતાની અરજીમાં ખોટી માહિતી આપી હતી. તેણે દાવો કર્યો હતો કે, તે ચાર વર્ષથી ઓટાવા અને ટોરંટોમાં હતો અને માત્ર 6 દિવસ દેશની બહાર હતો.
પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, રાણા વધારે સમય શિકાગોમાં હતો, ત્યાં તેનો વેપાર અને સંપત્તિ છે. તપાસ એજન્સીએ તેને ગંભીરતાથી લેવાની સાથે જાણી જોઈને છેતરપીંડી દર્શાવી હતી. જેથી ખોટી માહિતીના આધારે તેણે નાગરિકતા મેળવી હતી. કેનેડાની સરકારે આ મામલો ફેડરલ કોર્ટમાં મોકલી આપ્યો છે. અંતિમ નિર્ણય કોર્ટ લેશે.
રાણાના વકીલે આ નિર્ણયને પડકાર્યો છે અને કહ્યું હતું કે, આ તેમના અધિકારોનું ઉલ્લંઘન છે ગત સપ્તાહે આ મામલે સુનાવણી થઈ હતી. સરકારે અદાલતમાં કેટલાક સંવેદનશીલ રાષ્ટ્રીય સુરક્ષાની જાણકારી સાર્વજનિક ન કરવાની મંજુરી માંગી છે. ઈમિગ્રેશન વિભાગના જણાવ્યા અનુસાર નાગરિકતા રદ કરવાનો નિર્ણય સરળ નથી પરંતુ કાયદાની શાખ બનાવી રાખવી જરૂરી છે. છેલ્લા 10 વર્ષમાં આવા બહુ ઓછા મામલા સામે આવ્યાં છે. હવે ફેડરલ કોર્ટ નક્કી કરશે કે, રાણાએ નાગરિકતા ખેટી રીતે મેળવી છે કે કેમ.
આ પણ વાંચોઃ બેંગ્લોરમાંથી ઝડપાયેલા ઓનલાઈન સટ્ટાબેટીંગ કેસમાં ચોંકાવનારો ખુલાસો, 2300 કરોડથી વધુનું કૌભાંડ


