ભાવિ યુદ્ધો કેવી રીતે લડાશે તે આજે પ્રયોગશાળાઓમાં નક્કી થઈ રહ્યું છે: રાજનાથસિંહ
નવી દિલ્હી, 4 મે 2026: રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટેકનોલોજીકલ ક્રાંતિના વર્તમાન યુગમાં ભાવિ-તૈયાર રહેવા માટે સંશોધન પર સતત ધ્યાન કેન્દ્રિત કરવા અને ‘સરપ્રાઈઝ એલિમેન્ટ’ (આશ્ચર્યનું તત્વ) કેળવવાની અનિવાર્યતા પર ભાર મૂક્યો છે. તેઓ મે 04, 2026ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ભારતીય સેનાની ઉત્તરી અને મધ્ય કમાન્ડ તથા સોસાયટી ઓફ ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચરર્સ દ્વારા આયોજિત ત્રણ દિવસીય નોર્થ ટેક સિમ્પોઝિયમના ઉદ્ઘાટન સત્ર દરમિયાન સંરક્ષણ કર્મચારીઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, સંશોધકો, સ્ટાર્ટ-અપ્સ અને શૈક્ષણિક પ્રતિનિધિઓને સંબોધિત કરી રહ્યા હતા.
રક્ષા મંત્રીએ આધુનિક યુદ્ધમાં જોવા મળી રહેલા ટેકનોલોજીકલ પરિવર્તનના વિસ્ફોટક દર અને સતત ઉભરતા “ક્યારેય કલ્પના ન કરી હોય તેવા” આશ્ચર્યના તત્વ પર પ્રકાશ પાડ્યો હતો. “રશિયા-યુક્રેન સંઘર્ષમાં, યુદ્ધનું સ્વરૂપ માત્ર ત્રણ કે ચાર વર્ષના ગાળામાં ટેન્કો અને મિસાઇલોથી બદલાઈને ગેમ-ચેન્જર ડ્રોન અને સેન્સરમાં પરિવર્તિત થઈ ગયું છે. વધુમાં, જે વસ્તુઓ રોજિંદા જીવનનો ભાગ છે તે જીવલેણ હથિયારોમાં ફેરવાઈ રહી છે. લેબનોન અને સીરિયામાં પેજર હુમલાઓએ આધુનિક યુદ્ધ પદ્ધતિઓના પુનઃમૂલ્યાંકન માટે પ્રેરિત કર્યા છે. આવી સ્થિતિમાં આપણે તૈયાર રહેવાની જરૂર છે,” તેમ તેમણે કહ્યું.
રાજનાથ સિંહે સક્રિય અભિગમ અપનાવવાની અને એવી ક્ષમતાઓ ઊભી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો જે દેશને, જરૂર પડે તો, તેના દુશ્મન સામે અણધાર્યો હુમલો કરવા સક્ષમ બનાવે. “ઇતિહાસ સાક્ષી છે કે યુદ્ધમાં નિર્ણાયક ધાર હંમેશા તે પક્ષ પાસે હોય છે જે સરપ્રાઇઝ એલિમેન્ટ ધરાવે છે. જ્યારે આપણા સંરક્ષણ દળો પહેલેથી જ તે દિશામાં કામ કરી રહ્યા છે, ત્યારે આપણે વધુ સક્રિયતા સાથે આગળ વધવું જોઈએ,” તેમ તેમણે ઉમેર્યું હતું.
વર્તમાન જટિલ અને ઝડપથી બદલાતા વાતાવરણમાં અનુકૂલનક્ષમતા સુનિશ્ચિત કરવાના મહત્વને રેખાંકિત કરતા, રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે જે રાષ્ટ્ર ટેકનોલોજીકલ ક્રાંતિને સૌથી ઝડપથી અપનાવે છે, તે ભાવિ યુદ્ધના લેન્ડસ્કેપમાં નિર્ણાયક ધાર ધરાવે છે. તેમણે ઉમેર્યું કે આજના વિશ્વમાં સંશોધનનો કોઈ વિકલ્પ નથી અને ભાવિ યુદ્ધો કેવી રીતે લડાશે તે આજે પ્રયોગશાળાઓમાં નક્કી થઈ રહ્યું છે.
સરકારે સંરક્ષણ સંશોધનને તેની પ્રાથમિકતાઓના કેન્દ્રમાં રાખ્યુંઃ રક્ષામંત્રી
રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું હતું કે સરકારે સંરક્ષણ સંશોધનને તેની પ્રાથમિકતાઓના કેન્દ્રમાં રાખ્યું છે અને DRDO દ્વારા તેને આગલા સ્તર પર લઈ જવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે “DRDO હવે આ યાત્રામાં એકલું નથી. ‘જો તમારે દૂર જવું હોય, તો સાથે ચાલો’ ના મંત્રથી પ્રેરિત થઈને તે મોટી સંખ્યામાં ઉદ્યોગો સાથે ખભેથી ખભો મિલાવીને આગળ વધી રહ્યું છે,”
રક્ષા મંત્રીએ ધ્યાન દોર્યું હતું કે સંરક્ષણ R&D બજેટનો 25% હિસ્સો ઉદ્યોગ, શિક્ષણવિદો અને સ્ટાર્ટ-અપ્સ માટે ફાળવવામાં આવ્યો છે, અને આજની તારીખમાં આ સંસ્થાઓએ બજેટના રૂ. 4,500 કરોડથી વધુનો ઉપયોગ કરી લીધો છે. તેમણે ઉમેર્યું કે નવી ‘ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી’ નીતિ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં અગાઉ લેવામાં આવતી 20 ટકા ફી ડેવલપમેન્ટ-કમ-પ્રોડક્શન પાર્ટનર્સ, ડેવલપમેન્ટ પાર્ટનર્સ અને પ્રોડક્શન એજન્સીઓ માટે સંપૂર્ણપણે માફ કરવામાં આવી છે. પરિણામે, DRDO એ અત્યાર સુધીમાં વિવિધ ઉદ્યોગોને 2,200 થી વધુ ટેકનોલોજી ટ્રાન્સફર કરી છે, એમ તેમણે જણાવ્યું હતું.
રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું હતું કે DRDOએ ભારતીય ઉદ્યોગોને તેના પેટન્ટ્સની મફત એક્સેસ આપવાની નીતિ શરૂ કરી છે, જે તેમની ટેકનોલોજીકલ ક્ષમતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા બંનેને મજબૂત બનાવશે. “DRDOની ટેસ્ટિંગ સુવિધાઓ પણ પેમેન્ટના આધારે ઉદ્યોગો માટે ખોલવામાં આવી છે. દર વર્ષે સેંકડો ઉદ્યોગો R&D સપોર્ટ માટે આ સુવિધાઓનો ઉપયોગ કરે છે,” તેમણે કહ્યું હતું. રક્ષા મંત્રીએ કહ્યું હતું કે ઉદ્યોગોએ આગળ આવવું જોઈએ અને ડાયરેક્ટેડ એનર્જી વેપન્સ, હાઈપરસોનિક વેપન્સ, અન્ડરવોટર ડોમેન અવેરનેસ, સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ, ક્વોન્ટમ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવા ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા હાંસલ કરવી જોઈએ. તેમણે આ પ્રયાસમાં સરકારના સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી.
ઓપરેશન સિંદૂરે વિશ્વને આપણા સંરક્ષણ દળોની બહાદુરી અને ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું
રાજનાથ સિંહે બદલાતી પરિસ્થિતિઓનું સચોટ વિશ્લેષણ કરવા અને ભારતની સજ્જતા સુનિશ્ચિત કરવા બદલ સંરક્ષણ દળો અને ઉદ્યોગની પ્રશંસા કરી હતી અને ‘ઓપરેશન સિંદૂર’ ને ટેકનોલોજીકલ યુદ્ધ અને રાષ્ટ્રની તૈયારીના ઉત્તમ ઉદાહરણ તરીકે વર્ણવ્યું હતું. “ઓપરેશન સિંદૂરે વિશ્વને આપણા સંરક્ષણ દળોની બહાદુરી અને ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું. ઓપરેશન દરમિયાન આકાશતીર, આકાશ મિસાઇલ સિસ્ટમ અને બ્રહ્મોસ જેવી અદ્યતન મિસાઇલ પ્રણાલીઓ સહિત અદ્યતન સ્વદેશી સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે પુરાવા તરીકે કામ કરે છે કે આપણે માત્ર યુદ્ધના બદલાતા સ્વરૂપને જ સમજતા નથી પરંતુ અડગ આત્મવિશ્વાસ સાથે ટેકનોલોજીકલ પ્રગતિનો ઉપયોગ કરી રહ્યા છીએ,” તેમ તેમણે કહ્યું હતું.
દેશની સંરક્ષણ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓની ગણતરી કરતા, રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે ઇનોવેશન્સ ફોર ડિફેન્સ એક્સેલન્સ (iDEX), એસિંગ ડેવલપમેન્ટ ઓફ ઇનોવેટિવ ટેકનોલોજીસ વિથ iDEX (ADITI) અને ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ (TDF) જેવી પહેલો નવીનતાને પ્રોત્સાહન આપવા અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીમાં નોંધપાત્ર વધારો કરવા માટે પ્રયત્નશીલ છે. સંરક્ષણ ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે ઉત્તર પ્રદેશમાં શરૂ કરાયેલા સંરક્ષણ ક્ષેત્ર સાથે સીધા જોડાયેલા અસંખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, ખાસ કરીને ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોરની સ્થાપના પર પણ પ્રકાશ પાડ્યો હતો, જે ભારતની સંરક્ષણ ક્ષમતાઓને સક્રિયપણે વધારી રહ્યા છે.
નાણાકીય વર્ષ 2025-26માં સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન રૂ. 1.54 લાખ કરોડની વિક્રમી ઊંચાઈએ પહોંચ્યું
રાજનાથ સિંહે રેખાંકિત કર્યું કે સરકારના આત્મનિર્ભરતાના પ્રયાસો સકારાત્મક પરિણામો આપી રહ્યા છે કારણ કે નાણાકીય વર્ષ 2025-26માં સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન રૂ. 1.54 લાખ કરોડની વિક્રમી ઊંચાઈએ પહોંચ્યું છે, જેમાં સંરક્ષણ નિકાસ રૂ. 38,424 કરોડના અત્યાર સુધીના સર્વોચ્ચ આંકડાને સ્પર્શી ગઈ છે. આ વધારો હજુ વધુ વેગ પકડવા માટે તૈયાર છે, તેમણે ઉમેર્યું કે ખાનગી ક્ષેત્રએ આ સિદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમની તાજેતરની જર્મની મુલાકાતને યાદ કરતા તેમણે કહ્યું કે વિદેશી કંપનીઓ ભારતીય સંરક્ષણ કંપનીઓ સાથે ભાગીદારી કરવામાં ઊંડો રસ દાખવી રહી છે, જે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય સંરક્ષણ ઉદ્યોગના વધતા કદની સાક્ષી છે.
રક્ષા મંત્રીએ નોર્થ ટેક સિમ્પોઝિયમ, જેની થીમ ‘રક્ષા ત્રિવેણી સંગમ – જ્યાં ટેકનોલોજી, ઉદ્યોગ અને સૈનિકતા મળે છે’ હતી, તેને નવીનતાને પ્રોત્સાહન આપવા અને ભારતની ટેકનોલોજીકલ અને સંરક્ષણ સજ્જતાને આગળ વધારવા તરફના એક મહત્વપૂર્ણ પગલા તરીકે વર્ણવ્યું હતું. તેમણે તમામ હિતધારકોને તેમની કામગીરીમાં વધુ સુધારો કરવા માટે નક્કર સૂચનોની આશા વ્યક્ત કરી હતી. તેમણે હિતધારકોને નિપુણતા શેર કરવા અને ઉભરતા અને અણખેડાયેલા ક્ષેત્રોમાં સામૂહિક રીતે ક્ષમતાઓ વધારવા માટે સક્ષમ કરવા માટે ‘નોલેજ કોરિડોર’ બનાવવાનું સૂચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે “આપણો સામૂહિક પ્રયાસ છે કે આપણે આગામી સમયમાં વિશ્વની સૌથી શક્તિશાળી સૈન્ય શક્તિ તરીકે પોતાને સ્થાપિત કરીએ,”


