Site icon Revoi.in

દ્વારકાના જગત મંદિરમાં ધનુર્માસને લીધે શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર

Social Share

દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધીશ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધનુર્માસ દર્શન મનોરથના કાર્યક્રમો યોજાશે. હિન્દુ કેલેન્ડર અનુસાર માગસર મહિનામાં સૂર્ય ધન રાશિમાં રહેતો હોવાથી આ માસને ધનુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. મંદિરના વહીવટદારની યાદીમાં જણાવ્યાનુસાર મંદિરમાં ધનુર્માસના ઉત્સવો દરમિયાન ઠાકોરજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના દ્વારકાધિશ મંદિરમાં દર્શન માટે રોજબરોજ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. ધનુર્માસ દરમિયાન દ્વારકાધિશના દર્શન માટે મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજ આવતો હોય છે. તેમને સુચારૂરૂપે દર્શન થાય તેવા ઉમદા હેતુથી દ્વારકા જગતમંદિરનો વહિવટ કરતી દેવસ્થાન સમિતિ દ્વારા આવતા દિવસોમાં આવનારા ધનુર્માસ ઉત્સવ દરમિયાન શ્રીજીના દર્શનમાં થવાના ફેરફારનો સમય દર્શાવવામાં આવ્યો છે. જે મુજબ તા. 19 ડિસેમ્બર 2024ને મંગળવારને ધનુર્માસના રોજ મંગલા આરતી સવારે 5.30 કલાકે, અનોસર (મંદિર બંધ) 10.30 કલાકે, ઉત્થાપન સાંજે 5.00 કલાકે તથા ત્યાર બાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે. તો 24 ડિસેમ્બર 2024 ગુરૂવારે ધનુર્માસના રોજ મંગલા આરતી સવારે 5.30 કલાકે, અનોસર (મંદિર બંધ) 10.30 કલાકે ઉત્થાપન સાંજે 5.00 કલાકે તથા ત્યાર બાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે. બાદમાં 2025ના જાન્યુઆરી માસમાં પણ શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે જે મુજબ 07મી જાન્યુઆરીને મંગળવારે તથા 9મી જાન્યુઆરીને ગુરૂવારના રોજ મંગલા આરતી સવારે 5.30 કલાકે, અનોસર (મંદિર બંધ) 10.30 કલાકે ઉત્થાપન સાંજે 5.00 કલાકે તથા ત્યાર બાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે.