ભાવનગર,13 ફેબ્રુઆરી 2026: શહેરમાં ત્રણ મહિના પહેલા ફોરેસ્ટ વિભાગમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાની પત્ની અને તેના બે સંતાનોની હત્યાનો બનાવ બન્યો હતો. અને હત્યારા શૈલેષે જ પત્ની અને સંતાનોની હત્યા કર્યા બાદ ત્રણેયના મૃતદેહ જમીનમાં દાટી દઈને ત્રણેય ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી. પોલીસે ત્વરિત તપાસ હાથ ધરતા ફરિયાદી શૈલેષ આરોપી નિકળ્યા હતો. આ ચકચારી ત્રિપલ હત્યા કેસમાં SITની રચના કરવામાં આવી હતી જે SIT દ્વારા સીસીટીવી ફૂટેજ, એફએસએલ રિપોર્ટ અને સાહેદોની પૂછપરછથી 1500 થી વધુ સજ્જડ પુરાવા એકત્ર કરીને આરોપી શૈલેષ ખાંભલા વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. અને આ કેસમાં આરોપીને કડક સજા કરવા માટે સ્પેશિયલ પીપીની પણ માંગણી કરવામાં આવી છે.
ભાવનગરમાં ફોરેસ્ટ વિભાગના એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની અને બે સંતાનોની ગઈ 16 નવેમ્બર, 2025ના રોજ હત્યા કરી હતી, જેના 85 દિવસ પછી પોલીસે તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. જ્યારે પોલીસને 90 દિવસમાં ચાર્જશીટ કરવાનું હોય, ત્યારે 5 દિવસ પૂર્વે 85માં દિવસે સાયોગિક પુરાવાના આધારે 1500 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. પોલીસે તપાસ દરમિયાન 90 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા, જેમાં પંચો, ફોરેસ્ટ કર્મચારીઓ, પોલીસકર્મીઓ, આજુબાજુના લોકોના નિવેદનો લેવામાં આવ્યા હતા. કોર્ટ સમક્ષ 164 મુજબ ત્રણ ફોરેસ્ટ અધિકારી અને એક ફોરેસ્ટ મહિલા વનકર્મીના નિવેદનો લેવામાં આવ્યા હતા. શૈલેશ ખાંભલાની ઓળખ પરેડ કરવામાં આવી હતી. સાથે સીસીટીવી ફૂટેજ, એફએસલ રિપોર્ટ સાથે ચાર્જશીટ રજૂ કર્યું હતું. જ્યારે પોલીસે આ બનાવમાં નજરે જોનાર કોઈ વ્યક્તિ ન હોય ત્યારે સાયોગિક પુરાવાના આધારે પોલીસે કેસને સજ્જડ કરી ચાર્જશીટ રજૂ કર્યું હતું.

