- રેશનીંગના દૂકાનદારો સરકારી પરિપત્રનો વિરોધ કરવા પરમિટ જનરેટ નહીં કરે,
- હયાતીમાં વારસાનો પરિપત્ર હતો તે સરકારે રદ કરતા વિરોધ,
- અનાજ ઉતારતી વખતે 8 લોકોને ફરજિયાત રાખવાનો પરિપત્રનો પણ વિરોધ
અમદાવાદઃ રાજ્યમાં સસ્તા અનાજ (રેશનિંગ)ના દૂકાનદારો પોતાના પડતર પ્રશ્નો અંગે રજુઆત કરવા છતાંયે પ્રશ્નો ન ઉકેલાતા તેમજ અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા વિવાદિત પરિપત્ર કરાતા તેના વિરોધમાં રાજ્યભરના 17000 જેટલા રેશનિંગના દૂકાનદારો આગામી તા. 1લી નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે. ફેર પ્રાઈઝ એસોસિએશન દ્વારા હડતાળું એલાન કરવામાં આવ્યું છે.
ફેર પ્રાઈઝ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સસ્તા અનાજની 17 હજાર જેટલી દુકાનો આગામી 1લી નવેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે. દોઢ વર્ષ પહેલા સરકાર સાથે પડતર માંગણીઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી પરંતુ, દોઢ વર્ષ બાદ પણ તેનો અમલ ન થતા હવે આખરે સસ્તા અનાજના દુકાનધારકો અને સંગઠન સાથે મળીને વિતરણ પ્રથાથી અળગા રહીને સરકાર સામે આંદોલનનો માર્ગ અપનાવશે. સરકાર સમક્ષ રજૂ કરેલી તમામ માંગણીઓનો અમલ કરવામાં આવે એવી માગ સાથે સરકાર સામે વિરોધ કરશે તેમજ અન્ન અને પુરવઠા વિભાગના અધિકારી આવ્યા બાદ વિવાદિત પરિપત્ર થતા હોવાના આરોપ સાથે દુકાનધારકોએ પરમિટ જનરેટ કરવાનો પણ ઇન્કાર કર્યો છે.
રાજ્યના પુરવઠા વિભાગના અધિકારી દ્વારા અનેક પ્રકારના વિવાદિત પરિપત્ર કરવામાં આવ્યો હોવાનો આરોપ પણ ફેર પ્રાઈઝ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી લગાવી રહ્યા છે. વિવાદિત પરિપત્ર કરીને સસ્તા અનાજના દુકાનધારકોને ગુલામ બનાવવા માટે પ્રયાસ કરવામાં આવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ફેર પ્રાઈઝ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનદારોને વાચા આપવા માટે બે સંગઠન અસ્તિત્વ ધરાવે છે. બંને સંગઠન સાથે દોઢ વર્ષ પહેલા પડતર માંગણીઓ બાબતે થયેલી ચર્ચા અને સરકાર સાથે થયેલી સહમતિનો અમલ ના થતા 1લી નવેમ્બરથી વિતરણ પ્રથાથી અળગા રહી અસહકારનું આંદોલન કરવાની ફરજ પડી છે. જૂના પ્રશ્નોની ચર્ચા થયા પછી તેનો અમલ નથી થયો તેનો અમલ કરાવવા માટે આંદોલન કરીશું. કમિશન ચાર વર્ષથી વધાર્યું નથી એટલા કમિશન વધારવાની પણ અમારી માંગણી છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, પુરવઠા વિભાગના જોઇન્ટ કમિશનર ગાંધી આવ્યા છે ત્યારથી વિવાદિત પરિપત્રો જારી કરવામાં આવી રહ્યા છે. હયાતીમાં વારસાનો પરિપત્ર હતો, તે રદ કરી હયાતીમાં વારસાઈ બંધ કરી દીધી છે. આજે માણસ રોગમાં સપડાય અને દવાખાનામાં હોય અને તેની હયાતીમાં વારસાઈ ન થાય તો દુકાન બંધ થઈ જાય. એક તરફ આર્થિક રીતે દવાખાનામાં તૂટે અને બીજી તરફ ઘરના લોકોને ભૂખે રહેવું પડે એવી સ્થિતિ ઊભી થાય. આ એક અમાનવીય પરિપત્ર છે તેમજ આ પરિપત્ર ગાંધી જ નક્કી કર્યો હોય એવું મારું માનવું છે. જ્યારે બીજો પરિપત્ર હતો કે દરેક સસ્તા અનાજની દુકાનની એક કમિટી બનાવવામાં આવે. જેમાં ગ્રાહકની, પડોશના વેપારીની, સ્થાનિક કોર્પોરેટર હોય અથવા નગરપાલિકાનો સભ્ય હોય એવા 11 માણસની કમિટી બનાવવામાં આવે, આ માણસમાંથી કોઈપણ એક માણસ માલ ઉતારવાનો હોય ત્યારે સહી કરી આપે ત્યારે માલ ઉતારી જાય અને વિતરણ થઈ શકે. કમિટીના 11માંથી 8 લોકોને હાજર રાખવાના, 11માંથી 8 લોકો ક્યારેય હાજર રહે નહીં આ અશક્ય વસ્તુ છે પરંતુ, વ્યાજબી ભાવના દુકાનદારોને ગુલામ સમજવાની જે પ્રથા શરૂ થઈ છે, તેનો અમારો સખત વિરોધ છે. આ પ્રકારના પરિપત્ર રદ કરવો જ પડશે અને અમે પરિપત્ર રદ નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રાખીશું.