નવી દિલ્હીઃ ચોમાસાના ચાર માસના કુલ વરસાદનું ચોથા ભાગનું પાણી હવે જૂન માસમાં વરસી જાય છે.એક માસના સરેરાશ વરસાદ કરતા પણ વધુ વરસાદ એક જ દિવસમાં વરસી જવાનું વધતું જતું પ્રમાણ.દાયક પહેલા તલીમનાડુના માર્ગે આવતા ચક્રવાતોએ ક્લાયમેટ ચેન્જના કારણે હવે રસ્તો બદલે મધ્યપ્રદેશના માર્ગે આવે છે.ગુજરાત ઉપરથી ચોમાસ દરમિયાન બેત્રણ વખત પસાર થતાં મેડન જુલિયન ઓસિલેશનના વાદળો પણ વરસાદ લાવે છે.અર્બન હિટ આયલેન્ડ શહેરોમાં ભારે વરસાદનું કારણ બને છે અને પૂરની સ્થિતિનું નિર્માણ કરે છે
પ્રકૃતિના અવિવેકી દોહન અને અર્બનાઇઝેશનના પરિણામે ઉદ્દભવેલી સમસ્યા ક્લાયમેટ ચેન્જની સમગ્ર જીવસૃષ્ટિ ઉપર વિપરિત અસર પડી છે. ઉનાળામાં ગરમી, ચોમાસામાં વરસાદ અને શિયાળામાં ઠંડીનો મિજાજ સમગ્રતયા બદલાઇ ગયા હોવાનો અહેસાસ સામાન્ય માનવી કરી રહ્યો છે. મૌસમની પેટર્ન, એમાંય ખાસ કરીને ચોમાસાની ચાલ પરિવર્તન પામી હોવાની વાત મહારાજ સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ઓફ બરોડાના ઇન્સ્ટિટ્યુટ ઓફ ક્લાઇમેટ ચેન્જ એન્ડ રિસર્ચ સેન્ટરમાં થઇ રહેલા સંશોધનમાં પણ ફલિત થવા પામી છે.
ગુજરાત અને વિશેષતઃ વડોદરામાં ચોમાસાની ચાલને સમજવા માટે તેનું બંધારણ કેવી રીતે થાય છે ? એ જાણવું જોઇએ. આપણા પ્રદેશમાં મુખ્યત્વે બંગાળના ઉપમહાસાગર અને અરબી સમુદ્રમાં ઉદ્દભતા લોપ્રેશન સિસ્ટમથી આવે છે. આ બન્ને સમુદ્રમાં પ્રતિ વર્ષ પાંચથી છ વખત આવી સિસ્ટમ ઉભી થાય છે. જેમાં હવાનું દબાણ એક હજાર મિલિબાર્સ કે તેની આસપાસ હોય છે. આ નૈઋત્યનું ચોમાસું વાયા કેરળ, મહારાષ્ટ્ર થઇ ગુજરાતમાં પ્રવેશે છે અને વરસાદ આવે છે.
ગુજરાતના ચોમાસ ઉપર પ્રશાંત મહાસાગરના ઉષ્ણતામાન પણ અસર કરે છે. જેને લા નિના, અલ નિના તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ઇન્ડિયન ઓશન ડાયપોલ (આઇઓડી)ની અસર પણ સક્રીય ભૂમિકા અદા કરે છે. આઇઓડી એટલે અરબી સમુદ્ર અને બંગાળના ઉપમહાસાગરમાં ઉષ્ણતામાનનો તફાવત ! સમુદ્રનું તાપમાન ૨૮ ડિગ્રી સેલ્સીયસની ઉપર જાય ત્યારે સમુદ્રની સક્રીયતામાં વૃદ્ધિ થાય છે. ત્યાર પછી લોપ્રેશન થઇ શકે છે.
જાણીતા વેધર એનાલિસ્ટ શ્રી મુકેશ પાઠક કહે છે, આ ઉપરાંત મેડન જુલિયન ઓસિલેશન એટલે કે વાદળોનો એક મોટો સમુહ પૃથ્વીના ચક્કર મારતો રહે છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ મેડન જુલિયન ઓસિલેશન સામાન્ય રીતે બે કે ત્રણ વખત ભારત ઉપરથી પસાર થાય છે અને તે પણ વરસાદ આપે છે.
ચક્રવાતની વાત સમજીએ તો લોપ્રેશરમાં જેમ જેમ હવાનું દબાણ વધતું જાય એમ એમ તેનું સ્વરૂપ બદલાતું જાય છે. લોપ્રેશરમાંથી વેલ માર્ક્ડ લો પ્રેશર, ડિપ્રેશન, ડિપડ્રિપેશન અને બાદમાં ચક્રવાત, સ્ટ્રોમમાં પરિવર્તિત થાય છે. ભારતમાં ૧૫ ફેબ્રુઆરીથી ૧૫ જૂન સુધી અને ઓક્ટોબર, ચોમાસામાં નવેમ્બર અને ડિસેમ્બરમાં ચક્રવાતની સંભાવના વધુ હોય છે. આ માટે તેમાં રહેલા હવાના દબાણના મિલિબાર્સ આંકના આધારે આકલન કરવામાં આવે છે. અરબી કે બંગાળના ઉપમહાસાગરમાં આવા ચાર પાંચ ચક્રવાતો ઉદ્દભવે છે, જે ગુજરાતને અસર કરે છે. એક દાયકા પૂર્વે આ ચક્રવાતો તમીલનાડુ, આંધ્રપ્રદેશ થઇ ગુજરાત તરફ ફંટાતા હતા. પણ હવે ક્લાયમેટ ચેન્જના કારણે આ ચક્રવાતો મધ્ય પ્રદેશ થઇને આવે છે.
ગુજરાતમાં સામાન્ય રીતે દક્ષિણ પ્રાંતમાં વધારે વરસાદ નોંધાતો હતો. પણ હવે તો કચ્છમાં પણ અચાનક વરસાદ પુષ્કળ વરસાદ પડે છે. પહેલા સ્થિતિ એવી હતી કે, ભૂજનું હમીરસર તળાવ ભાગ્યે જ ભરાતું હતું અને ભરાઇ એટલે કચ્છમાં અગતો (રજા) પાળવામાં આવતી હતી. હવે તો આ તળાવ પણ એકઆંતરા ચોમાસામાં ભરાતું હોય છે. એક ચોમાસામાં પુષ્કળ વરસાદના કારણે જ્યાં પૂરની સ્થિતિ હોય એ જિલ્લામાં બીજા વર્ષે પાણી અછત રહે એટલો જ વરસાદ નોંધાય છે.
ઉક્ત બાબતો ક્લાયમેટ ચેન્જની અસર સૂચિત કરે છે. ક્લાયમેટ એટલે લઘુત્તમ ૩૦ વર્ષના હવામાનના તારણો. મહારાજ સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ઓફ બરોડાના ઇન્સ્ટિટ્યુટ ઓફ ક્લાઇમેટ ચેન્જ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ડો. સંસ્કૃતિ મુજુમદારના માર્ગદર્શન હેઠળ પ્રો. ચિરાયુ પંડિતે ક્લાયમેટ ચેન્જ વિષયે રસપ્રદ સંશોધન કર્યું છે. કેન્દ્ર સરકારના મૌસમ વિભાગ સહિતની એજન્સી પાસેથી આંકડાઓ લઇ તેમણે કરેલા સંશોધનમાં પરિણામો ધ્યાને લેવા ઘટે !
વડોદરામાં જળવાયુ પરિવર્તનને કારણે આખા ચોમાસાના ચોથા ભાગનો વરસાદ હવે એક માત્ર જૂન માસમાં પડી જાય છે. એમાંય એક માસના સરેરાશ જેટલો તો એક જ દિવસમાં વરસાદ પડે છે. આવું થાય ત્યારે પૂરની સ્થિતિ આવે છે. વર્ષ ૨૦૦૫માં જૂન માસના સરેરાશ ૧૩૫ મિલિમિટર વરસાદની સામે તા. ૨૯-૦૬-૨૫ના રોજ એક જ દિવસમાં ૨૩૮ મિલિમિટર વરસાદ વરસી ગયો હતો.
૨૦૧૯માં જુલાઇ માસના સરેરાશ ૩૨૭ મિલિમિટરની સાપેક્ષે ૩૧-૭-૧૯ના રોજ એક જ દિવસમાં ૩૫૧ મિલિમિટર વરસાદ પડ્યો હતો. એ જ રીતે ૧૯૭૮ના ઓગસ્ટમાં ૨૭૯ મહિનાની સરેરાશ સામે તા. ૧૭-૮-૭૮ના રોજ એક જ દિવસે ૨૨૪ મિલિમિટર વરસાદ નોંધાયો હતો. ૧૯૯૪ના સપ્ટેમ્બરની ૧૪૪ મિલિમિટર સરેરાશ સામે તા. ૧૧-૯-૯૪ના રોજ ૨૫૬ મિલિમિટર વરસાદ નોંધાયો હતો. વડોદરામાં ચોમાસામાં સરેરાશ ૩૭ દિવસ વરસાદ પડે છે.
શહેરીકરણ, ઔદ્યોગિકીકરણ સહિતના પરિબળો ક્લાયમેટ ચેન્જમાં મહત્વના પૂરવાર થાય છે. શહેરોમાં ઉંચી ઉમારતોના કારણે પવનની દિશા અને ગતિમાં ફેરફાર થાય છે. જેના કારણે શહેરના એક જ વિસ્તારમાં વરસાદ હોય તો બીજા ભાગ સાવ કોરો હોય છે.
જમીનના સરફેસના આધારે વાતાવરણ વચ્ચેના ઇન્ટરેક્શનથી રચાતું બાઉન્ડ્રી લેયર, જે તે સ્થળનું તાપમાન અને મિટિરોલોજીકલ માપદંડ નક્કી કરે છે. સામાન્ય સંજોગોમાં દિવસે તાપમાન વધવાના કારણે લેયર જમીનથી ગરમી દોઢથી બે કિલોમિટર ઉપર જતી હોય છે અને રાતે ૧૦૦ મિટર સુધી જતી હોય છે. પરંતુ, ક્લાયમેટ ચેન્જના કારણે શહેરી વિસ્તારની જમીનની ગરમી આકાશ તરફ જવાના અંતરમાં દિવસ અને રાતમાં કોઇ તફાવત રહ્યો નથી. ગામડાઓમાં આ અંતર હજુ વધુ છે. શહેરીકરણના કારણે વધતા જતા તાપમાનને અર્બન હિટ આયલેન્ડ કહે છે. આ અર્બન હિટ આયલેન્ડ શહેરમાં ભારે વરસાદનું કારણ બને છે અને પૂરની સ્થિતિનું નિર્માણ કરે છે.
વડોદરાની વાત કરીએ તો ૧૯૭૮માં વડોદરા શહેરના કુલ ક્ષેત્રફળ ૧૫૦ ચોરસ કિલોમિટર પૈકી ૮ ટકા વિસ્તાર એટલે કે ૧૪.૦૮ ટકા વિસ્તારમાં બાંધકામ હતું. તે વધીને ૨૦૧૮માં ૯૭ ચોરસ કિલોમિટર, ૬૮ ટકા થઇ ગયું છે. તેવું પ્રો. પંડિતના સંશોધનમાં છે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રકૃતિના રક્ષણ માટે મિશન લાઇફ નામક અભિયાન આપ્યું છે. એ અભિયાનને અપનાવવાનો આ ખરો સમય છે. તો જ આપણે પ્રકૃતિનું સંરક્ષણ કરી શકશું.