1. Home
  2. revoinews
  3. કોંગ્રેસ દ્વારા પ્રખર વક્તાઓની ભરતી માટે પ્રતિભા શોધ અભિયાન
કોંગ્રેસ દ્વારા પ્રખર વક્તાઓની ભરતી માટે પ્રતિભા શોધ અભિયાન

કોંગ્રેસ દ્વારા પ્રખર વક્તાઓની ભરતી માટે પ્રતિભા શોધ અભિયાન

0
Social Share

અમદાવાદ/નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી, 2026 – Congress launches talent search campaign કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત સહિત રાષ્ટ્રીય સ્તરે પ્રખર વક્તાઓની ભરતી કરવા માટે ટેલેન્ટ હંટ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આજે અમદાવાદમાં આ અંગે જાહેરાત કરતા ‘પ્રતિભા શોધ અભિયાન’ના ગુજરાત પ્રભારી હરિશંકર ગુપ્તાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે દેશભરમાં પોતાની વિચારધારાને વધુ મજબૂત રીતે રજૂ કરવા તેમજ અસરકારક અને પ્રખર વક્તાઓની ઓળખ માટે ‘પ્રતિભા શોધ કાર્યક્રમ’ (Talent Hunt Program)ની શરૂઆત કરી છે.

શહેરના પાલડી વિસ્તારમાં રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા હરિશંકર ગુપ્તાએ કહ્યું હતું કે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી તથા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની વિશેષ પહેલ હેઠળ ‘ટેલેન્ટ હન્ટ’ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

પ્રતિભા શોધ કાર્યક્રમનો હેતુ

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) દ્વારા સમાજના વિવિધ વર્ગોમાંથી વિચારોમાં સ્પષ્ટતા ધરાવતા, મીડિયા-સજ્જ અને કોંગ્રેસના મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ કાર્યકર્તાઓને ઓળખી તેમને તાલીમ આપવાના હેતુથી ‘રાષ્ટ્રીય પ્રતિભા શોધ’ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ પહેલ દ્વારા પક્ષ માટે એક સશક્ત, સમાવેશક અને ભવિષ્યસજ્જ મીડિયા તથા જાહેર સંવાદ ટીમ તૈયાર કરવાનો ઉદ્દેશ્ય છે. આ કાર્યક્રમના અનુસંધાને આગામી આયોજન માટે પક્ષના પદાધિકારીની બેઠક યોજાઈ હતી.

કોંગ્રેસ પક્ષ દ્વારા જારી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, ‘પ્રતિભા શોધ કાર્યક્રમ’ (Talent Hunt Program) કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સક્રિય, જાગૃત અને વૈચારિક રીતે સમૃદ્ધ એવા કાર્યકર્તાઓને આગળ લાવવાનો છે, જેમને કોંગ્રેસના ગૌરવશાળી ઇતિહાસ, બંધારણીય મૂલ્યો તથા વર્તમાન રાજકીય પરિસ્થિતિઓની ઊંડી સમજ હોય. આ અભિયાનનો મુખ્ય હેતુ મીડિયા, જનસભાઓ તથા જાહેર મંચો પર સત્તાધારી પક્ષ દ્વારા ચલાવવામાં આવતા એકતરફી નેરેટિવનો મજબૂત, તથ્યાધારિત અને અસરકારક રીતે સામનો કરવા માટે કોંગ્રેસ પક્ષના પ્રવક્તાઓની એક ઓજસ્વી, પ્રશિક્ષિત અને વિશ્વસનીય ટીમ તૈયાર કરવાનો છે.

આ કાર્યક્રમ એઆઈસીસી મીડિયા વિભાગના ચેરમેન ડૉ. જયરામ રમેશ, સંયોજક પવન ખેરા તથા સોશિયલ મીડિયા ચેરપર્સન શ્રીમતી સુપ્રિયા શ્રીનેતના સંયુક્ત માર્ગદર્શન હેઠળ સંચાલિત કરવામાં આવી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં આ કાર્યક્રમની જવાબદારી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાના નેતૃત્વ હેઠળ તથા મીડિયા કન્વીનર ડૉ. મનીષ દોશી દ્વારા નિભાવવામાં આવી રહી છે.

કાર્યક્રમની પસંદગી પ્રક્રિયા અંતર્ગત ઇચ્છુક ઉમેદવારો માટે ૨૦ થી ૨૨ ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના ચાર વિવિધ ઝોનમાં ફિઝિકલ ઇન્ટરવ્યુ યોજાશે. પ્રાદેશિક સ્તરે પસંદ થયેલા ઉમેદવારોના અંતિમ ઇન્ટરવ્યુ 5 માર્ચ પહેલાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે લેવામાં આવશે.

આ પણ વાંચોઃ આવકનો દાખલો અને જાતિ સહિતના 18 પ્રમાણપત્રો 1લી એપ્રિલથી ઓનલાઈન મળશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code