1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત વિધાનસભાના પરિસરમાં ખેડુતોને વીજળી આપવાના મુદ્દે કોંગ્રેસે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો
ગુજરાત વિધાનસભાના પરિસરમાં ખેડુતોને વીજળી આપવાના મુદ્દે કોંગ્રેસે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો

ગુજરાત વિધાનસભાના પરિસરમાં ખેડુતોને વીજળી આપવાના મુદ્દે કોંગ્રેસે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં રવિ સીઝન પૂર્ણ થવાના આરે છે, અને ખેડુતો ઉનાળું વાવેતરની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે જ વીજળીના ધાંધિયાથી ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. બોર અને કૂવામાં પાણી હોવા છતાં વીજળીના અભાવે ખેડુતો સિંચાઈ કરી શક્તા નથી. સરકારે 8 કલાક વીજળી આપવાનો વાયદો કર્યો હતો પણ પાંચ કલાક વીજળી મળતી નથી. ત્યારે ખેડુતોના પ્રશ્નને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા આજે ગુજરાત વિધાનસભાના પરિસરમાં ભારે સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરાયા હતા.

ગુજરાત સરકારે ખેડૂતોને આઠ કલાક વીજળી આપવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીએ પણ 6 કલાક વીજળી આપવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસના ધારાસભ્યોને પણ અગાઉ મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે ખેડૂતોને 6 કલાક વીજળી આપીશું. આ જાહેરાત કર્યા બાદ પણ વીજળી મળતી નહીં હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસના સભ્યોએ આજે વિધાનસભા પરિસરમાં બેસીને દેખાવો કર્યાં હતાં.કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં વીજળી આપો, વીજળી આપોના સુત્રોચ્ચાર પણ કર્યાં હતાં. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને વિમલ ચુડાસમાએ શર્ટ કાઢીને વિરોધ કર્યો હતો.

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે ખેડુતોના વીજળીના મુદ્દે  કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવતા અધ્યક્ષના આદેશથી સાર્જન્ટોએ તેમને ટીંગાટોળી કરીને ગૃહની બહાર કાઢ્યા હતા. કોંગ્રેસના બાકીના ધારાસભ્યોએ પણ આ વર્તનનો વિરોધ કરીને વોકઆઉટ કર્યો હતો. વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ખેડૂતોને પુરતી વીજળી અપાતી નહીં હોવાના મુદ્દે પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે કહ્યું હતું કે સરકારે પ્રશ્નના જવાબમાં છેલ્લા બે વર્ષમાં વીજ ઉત્પાદન ક્ષમતામાં 3265 મેગાવોટનો વધારો થયો હોવાનું જણાવ્યું છે પણ સામાજિક આર્થિક સમીક્ષામાં રાજ્યમાં બે વર્ષમાં માત્ર 240 મેગાવોટનો વધારો થયો હોવાનું જણાવાયું છે. જેથી સરકાર સાચો જવાબ આપતી નથી. જો ક્ષમતા વધી હોય તો વીજળીની શોર્ટેજ કેવી રીતે થઇ, તમે ખેડૂતોને દિવસે વીજળી તો આપી શકતા નથી. કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલે કહ્યું હતું કે સરકાર દેવું વધારે છે પણ પાવર હાઉસ ઉભા કરવા દેવું વધાર્યું હોત તો ખેડૂતોને પુરતી વીજળી આપી શકાતી હોત. તે સમયે રાજ્યકક્ષાના ઉર્જા મંત્રી મુકેશ પટેલે જવાબ આપતા કહ્યું હતું કે અગાઉ કોલસાની વૈશ્વિક તંગીને કારણે મુશ્કેલી ઉભી થઇ હતી જ્યારે હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને કારણે ગુજરાતમાં વીજળીની શોર્ટેજ ઉભી થઇ છે. છતાં પણ ગઇકાલે 14મી માર્ચના રોજ 18114 મેગાવોટ વીજળી પુરી પાડવામાં આવી હતી. આ ઘટ બે ત્રણ દિવસમાં પુરી થઇ જશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code