કોરોના મહામારી 2024 સુધી ચાલી શકે છે: મીકાએલ ડોલસ્ટેન
- કોરોનાને લઈને મહત્વની આગાહી
- ફાઈઝર કંપનીના મુખ્ય વૈજ્ઞાનિકે કરી આગાહી
- કહ્યું મહામારી 2024 સુધી ચાલી શકે છે
કોરોનાથી હવે લોકો કંટાળી ગયા છે, કોરોનાના નવા નવા વેરિયન્ટ આવતા રહે છે અને લોકો હેરાન પરેશાન થતા રહે છે. આવામાં ફાઈઝર કંપનીના મુખ્ય વૈજ્ઞાનિકે જણાવ્યું કે કંપનીની ધારણા છે કે, કેટલાક વિસ્તારોમાં આગામી 1-2 વર્ષમાં કોરોના મહામારી ચાલુ રહેશે. આ સમય દરમિયાન બીજા દેશોમાં પણ સંક્રમણ ફેલાશે.
દુનિયાના કેટલાય દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની વધતી ગતિ વચ્ચે વેક્સિન નિર્માણ કરતી કંપનીએ ચેતવણી આપતા જણાવ્યું છે કે, કોરોના મહામારી વર્ષ 2024 સુધી રહી શકે છે. ગયા મહિને ઓમિક્રોન વેરિઅન્ટ સામે આવ્યા પછી ફાઈઝરે આગાહી કરી હતી કે તેમાં વાયરસના મૂળ સંસ્કરણની તુલનામાં 50થી વધારે મ્યૂટેશન છે. આ કારણે સંક્રમણની સામે રસીના બે ડોઝની અસરકારકતામાં ઘટાડો થયો છે અને વિશ્વભરમાં વાયરસ ઝડપથી ફેલાવાનો ભય ઉભો થયો છે.
ડોલેસ્ટને જણાવ્યું કે, કંપનીના મતે વર્ષ 2024 સુધીમાં આ મહામારી દુનિયાભરમાં સ્થાયી થઈ જશે. તેની ગતિ વેક્સિનની અસર અને સારવાર પર નિર્ભર કરશે. ઓછું વેક્સિનેશન ધરાવતા વિસ્તારમાં વેક્સિન લગાવવાની ગતિ વધારવી પડશે. ઓમિક્રોન વેરિએન્ટના આગમન પહેલા ટોચના અમેરિકન રોગ નિષ્ણાંત એન્થોની ફૌસીએ આગાહી કરી હતી કે, અમેરિકામાં 2022માં આ મહામારી સમાપ્ત થઈ જશે પરંતુ નવા વેરિએન્ટની ગતિ જે રીતે વધી રહી છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે, આ ભવિષ્યવાણી ક્યાંક ખોટી ન સાબિત થઈ જાય.