
ગુજરાત હાઈકોર્ટમાં રિટ દાખલ થતાં પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર બદલીઓનો કાર્યક્રમ સ્થગિત
અમદાવાદઃ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા શિક્ષકો માટે જિલ્લા આંતરિક બદલીઓ કરવા માટેનો પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. જેમાં તા. 9 જૂનથી 28 જૂન સુધી ઓનલાઇન શિક્ષકોની બદલી માટે કાર્યક્રમનો પ્રથમ તબક્કો યોજવાની સૂચનાઓ આપવામાં આવી હતી પરંતુ શિક્ષણ વિભાગનો પરિપત્ર પ્રસિદ્ધ થયા બાદ પ્રાથમિક શિક્ષકો દ્વારા હાઇકોર્ટમાં માટે શાળાની સિનિયોરીટી ગણવા સંદર્ભે કેસ દાખલ કરાયો છે. અને હાઈકોર્ટમાં 125થી વધુ પિટિશન દાખલ થઇ હોય સરકારી વકીલના અભિપ્રાય બાદ જિલ્લાની આંતરિક બદલીઓ સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષમ નિયામક કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રાથમિક શિક્ષકો દ્વારા સીઆરસી બીઆરસીને પરત શાળામાં મુકતા વધ પડેલા શિક્ષકો દ્વારા અને સંલગ્ન મેટર તથા ધોરણ 1 થી 5 ના શિક્ષકો જેઓ વિકલ્પ લીધા બાદ ધોરણ 6 થી 8માં ફરજ બજાવે છે તેઓ દ્વારા બદલી માટે તેમની મૂળ શાળાની સિનિયોરીટી ગણવા સંદર્ભે મેટર હાઇકોર્ટમાં દાખલ કરી છે. કુલ 125થી વધુ પિટિશન દાખલ થયેલી છે, જે હાઈકોર્ટમાં પડતર છે અને હાઇકોર્ટ દ્વારા મોટાભાગના કેસમાં વચગાળાની રાહત આપવામાં આવી છે. જેની આગામી મુદત તારીખ 21 જૂન અને 27 જૂન રાખવામાં આવી છે. જે શિક્ષકો દ્વારા પિટિશન દાખલ થયેલ નથી તેઓની સિનિયોરીટી નવા નિયમ મુજબ ગણતા વહીવટી અને કાયદાકીય પ્રશ્નો ઉપસ્થિત થાય તેમ હોય આ બાબતે સરકારી વકીલનો અભિપ્રાય આપતા સરકારી વકીલના મળેલા અભિપ્રાય અનુસંધાને સચિવના આદેશ મુજબ કચેરી દ્વારા આયોજિત કરેલી ઓનલાઇન આંતરિક બદલી કેમ્પ બીજી સૂચનાઓ ન આપવામાં આવે ત્યાં સુધી સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.