સુરેન્દ્રનગરઃ શહેર નજીક આવેલો ધોળીધજા ડેમ એ સૌરાષ્ટ્રનું પાણીયારૂ કહેવામાં આવે છે. એટલે કે નર્મદાના પાણીથી ડેમને છલોછલ ભરીને સૌરાષ્ટ્રમાં પીણીનું વિતરણ કરવામાં આવે છે. એટલે બારેમાસ ધોળી ધજા ડેમ ભરાયેલો જોવા મળે છે. હવે સરકારે ધાળી ધજા ડેમ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિક્સાવવાનું નક્કી કર્યું છે, રૂપિયા 30 કરોડના ખર્ચે બાગ-બગીચા, પ્રવાસીઓ માટેના મનોરંજક સાધનો વગેરે ઊભા કરીને પર્યટક સ્થળ તરીકે વિક્સાવવામાં આવશે.
સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં તાજેતરમાં ધોળીધજા ડેમનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માટે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા ઉપસ્થિત રહીને ધોળી ધજા ડેમના વિકાસ માટે જરૂરી માર્ગદર્શન આપી વિવિધ સૂચનો કર્યા હતા. ત્યાર બાદ નાયબ મુખ્ય દંડક તેમજ જિલ્લા કલેકટર કે.સી.સંપટ સહિત જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓએ ડેમની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે રૂ. 30 કરોડ ફાળવવામાં આવ્યા છે. જે અંતર્ગત પ્રવાસન નિગમના અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરી વિવિધ બાબતોની વિસ્તૃત જાણકારી મેળવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં ફરવા માટેના સ્થળ તરીકે ધોળીધજા ડેમનો સુંદર વિકાસ થાય એ દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના અને આજુબાજુના લોકોને ખૂબ જ ટૂંકા સમયમાં એક પ્રવાસન સ્થળ મળશે.
જિલ્લા કલેક્ટર કે.સી.સંપટે જણાવ્યું હતું કે, આશરે પાંચ હેક્ટર જેટલા વિસ્તારમાં ધોળીધજા ડેમનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે. આજે આ કામમાં રસ ધરાવતી અલગ-અલગ 7 જેટલી એજન્સીઓ સાથે સ્થળ મુલાકાત કરી આગળનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, વઢવાણ પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા સહિત પ્રવાસન અને સંબધિત વિવિધ વિભાગોના અધિકારીઓ તથા અલગ-અલગ એજન્સીઓના પ્રતિનિધિઓ બેઠકમાં હાજર રહ્યા હતા.