- સિવિલ હોસ્પિટલ દ્વારા મૃકોના પરિવારજનોને સંપર્ક કરવામાં આવી રહ્યો છે,
- ગત રાત્રે 3 મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા,
- ડીએનએ ટેસ્ટ માટે 272 સેમ્પલ આવ્યા હતા
અમદાવાદઃ એર ઈન્ડિયાનું લંડન જતું પ્લેન ક્રેશ થતા 241 પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. તમામ મૃતકો ઓળખી શકાય તેવી સ્થિતિમાં ન હોવાથી ડીએનએ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી 32 ડીએનએ મેચ થયા છે અને તેમના પરિવારનો સંપર્ક કરાયો છે. જેમાં અમદાવાદના 4, વડોદરાના 2 , ખેડાના 1, અરવલ્લીના 1 બોટાદના 1, વિસનગરના 4 એમ 14 મૃતદેહ સોંપવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતકના જે સગાએ DNA સેમ્પલ આપ્યા છે, તેમને તેમના દ્વારા નોંધાવવામાં આવેલા મોબાઇલ નંબર પર ફોન કરીને સંપર્ક કરવામાં આવશે. મૃતકના પરિજનોએ ફક્ત અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડેઝિગ્નેટેડ નંબર પરથી અધિકૃત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા ફોન કોલને જ ધ્યાનમાં લેવા વિનંતી કરવામાં આવી છે. આ કોલમાં જ DNA મેચ થયાની અને પાર્થિવ દેહ લેવા આવવાની જાણ કરવામાં આવશે.
શહેરની સિવિલ હોસ્પિટલમાં સતત બીજા દિવસે મૃતકોના અને તેમના પરિવારજનોના DNA સેમ્પલિંગની કાર્યવાહી યથાવત રહી છે. તો બીજી તરફ 15 મૃતદેહોના સેમ્પલ મેચ થતા તેઓના પરિવારજનોને મૃતદેહ સોંપવાની પણ શરૂઆત કરવામાં આવી છે. ગતરાતે 3 મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા હતા.
પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યઆંક મુદ્દે હજુ સુધી સરકાર કે હોસ્પિટલ તરફથી કોઈ ચોક્કસ આંકડો આપવામાં આવ્યો નથી. પ્લેનમાં 242 પેસેન્જર સવાર હતા, જેમાંથી વિશ્વાસ નામનો એક પેસેન્જર બચી ગયો હતો. જ્યારે આ સિવાયના મૃતકોમાં હજુ સુધી 32 મૃતકોની ઓળખ થઈ છે, જ્યારે ડીએનએ ટેસ્ટ માટે 272 સેમ્પલ આવ્યા છે.