1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આટકોટમાં વડાપ્રધાનના આગમનને લીધે તંત્ર દ્વારા તૈયારીઓ, 3 લાખ લોકો ઉમટી પડશે
આટકોટમાં વડાપ્રધાનના આગમનને લીધે તંત્ર દ્વારા તૈયારીઓ, 3 લાખ લોકો ઉમટી પડશે

આટકોટમાં વડાપ્રધાનના આગમનને લીધે તંત્ર દ્વારા તૈયારીઓ, 3 લાખ લોકો ઉમટી પડશે

0
Social Share

રાજકોટઃ  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મીએ રાજકોટ નજીક આટકોટમાં બનાવેલી પટેલ સમાજ સંચાલિત કે.ડી.પી. હોસ્પિટલનું લોકાર્પણ કરશે. વડાપ્રધાનના આગમનને લઈને ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાનની સભામાં અંદાજિત 3 લાખ લોકો એકઠા થશે. અને આ માટે વ્યવસ્થાના ભાગ રૂપે 3500 સ્વયંસૈનિકોને સભા સ્થળ પર તૈનાત કરાશે. કહેવાય છે કે, પોતાના અંગત કારણોસર ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સભામાં હાજર રહી શકશે નહીં, આટકોટ ખાતે નવનિર્મિત હોસ્પિટલ અને સભા સ્થળ તેમજ પાર્કિંગ સ્થળ માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. પોલીસ અને જિલ્લા કલેક્ટર દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. વડાપ્રધાનની સભાને સફળ બનાવવા અને મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી કરવા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ કામે લાગ્યા છે. વડાપ્રધાનના કાર્યક્રમ અંગે હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી અને ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોધરાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના આરોગ્ય ક્ષેત્રે આ હોસ્પિટલ સ્વરૂપે મોટી ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાડા ચાર વર્ષ પહેલાં જાહેર સભા કરી હતી ત્યાર પછી આગામી 28 તારીખે જાહેર સભા સંબોધશે. જ્યાં તેમની સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન આ કાર્યક્રમમાં એક પણ સરકારી બસનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. 250 કરતા વધુ ખાનગી બસમાં લોકો સ્વયંભૂ આવશે.

આ ઉપરાંત હોસ્પિટલના અન્ય ટ્રસ્ટી પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, શનિવારે સૌરાષ્ટ્રભરમાંથી 3 લાખ કરતા વધુ લોકો લોકાર્પણ કર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જેના માટે સભા સ્થળની આસપાસ 500 વિધા જમીનમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ સાથે 600×1200 ફૂટનો વિશાલ મુખ્ય ડોમ અને જાહેર જનતા માટે 4 ડોમ તૈયાર કરાયા છે. તથા 4 હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા છે. 1500 જેટલા સ્વયંસૈનિકો પાર્કિંગમાં અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે સેવા આપશે. જયારે 2000 સ્વયંસૈનિકો બેઠક વ્યવસ્થામાં ખડેપગે રહેશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઉનાળાને કારણે લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે 2 લાખ લીટર પીવાનું પાણી ડોમમાં રાખવામાં આવશે અને જે લોકો જાહેર સભામાં આવે તેમને ભોજન માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે. જ્યાં 2 કલાકમાં 3 લાખ લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત રાજ્ય સરકારનું મંત્રી મંડળ ઉપસ્થિત રહેશે.

કલેક્ટરના અધ્યક્ષસ્થાને PMના આગમનની તૈયારીને લઈને સમીક્ષા બેઠક બોલાવાઈ હતી જેમાં નક્કી કરાયું છે કે પીએમ જ્યારે આવે ત્યારે તેમની આસપાસ રહેનારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સ્ટેજ પર કે સ્ટેજની આસપાસના તમામના કાર્યક્રમ પહેલા RTPCR ટેસ્ટ કરાશે. વડાપ્રધાન હવાઈ માર્ગે આટકોટ પહોંચવાના હોવાથી કાર્યક્રમ સ્થળે હેલિપેડ, કોન્વોયની કામગીરી ફાયર સેફ્ટી, મેડિકલ ટીમ તેમજ કાર્યક્રમ સ્થળે જ્યાં મેદની છે ત્યાં એમ્બ્યુલન્સ રાખવા માટે આદેશ અપાયા છે. આ ઉપરાંત 28મીએ એક દિવસ માટે આટકોટને નો-ફ્લાય ઝોન જાહેર કરાયું છે. આ કાર્યક્રમને લઈને સમગ્ર વહીવટી તંત્ર કામે લાગ્યું છે તો બીજી તરફ ભાજપે પણ પોતાના કાર્યકરોને અલગ અલગ જવાબદારીઓ સોંપી છે જેમાં ભીડ એકત્ર કરવાથી માંડી અલગ અલગ વ્યવસ્થા પૂરી પાડવાનો પણ સમાવેશ થઈ જાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code