Site icon Revoi.in

મણિપુરમાં ધરા ધ્રુજી, ચુરાચંદપુર અને નોની જીિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા

Social Share

મણિપુરમાં આજે બુધવારે (28 મે, 2025) ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 અને 5.2 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં 28 મે, 2025 ના રોજ સવારે 1:54 વાગ્યે (ભારતીય સમય મુજબ) 5.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર 24.46 ઉત્તર અક્ષાંશ અને 93.70 પૂર્વ રેખાંશ પર હતું, જેની ઊંડાઈ 40 કિલોમીટર હતી. આના થોડા સમય પછી, મણિપુરમાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા.

જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, મણિપુરના નોની જિલ્લામાં સવારે 2:26 વાગ્યે (ભારતીય સમય મુજબ) 2.5 ની તીવ્રતાનો હળવો ભૂકંપ આવ્યો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોની જિલ્લામાં 24.53 ઉત્તર અક્ષાંશ અને 93.50 પૂર્વ રેખાંશ પર હતું, જેની ઊંડાઈ 25 કિલોમીટર હતી. જોકે, આ ભૂકંપને કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. પરંતુ, સતત બે ભૂકંપના કારણે, મણિપુરમાં લોકો ગભરાઈ ગયા અને પોતાના ઘરની બહાર નીકળી ગયા.

8 મેના રોજ પણ મણિપુરમાં ભૂકંપ આવ્યો હતો
અગાઉ, 8 મે, 2025 ના રોજ રાત્રે 10:11 વાગ્યે (ભારતીય સમય), મણિપુરના ચંદેલ જિલ્લામાં 3.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર 24.19 ઉત્તર અક્ષાંશ અને 93.96 પૂર્વ રેખાંશ પર હતું, જેની ઊંડાઈ 10 કિલોમીટર હતી. ભૂકંપની તીવ્રતા હળવી હતી અને સ્થાનિક વિસ્તારોમાં તે અનુભવાયો હતો, પરંતુ કોઈ મોટું નુકસાન કે જાનમાલનું નુકસાન થયું નથી. 4 ઓક્ટોબરે પણ મણિપુર-નાગાલેન્ડ સરહદી વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અધિકારીઓએ કહ્યું હતું કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે મણિપુર મ્યાનમાર સાથે સરહદ ધરાવે છે. તાજેતરમાં મ્યાનમારમાં એક વિનાશક ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા.