રિયલ એસ્ટેટ કૌભાંડમાં EDની કાર્યવાહી: દરોડામાં રૂ. 6.3 કરોડ રોકડા અને રૂ.100 કરોડની મિલકતો જપ્ત
નવી દિલ્હી, 13 એપ્રિલ 2026: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ મની લોન્ડરિંગના કેસમાં મોટી કાર્યવાહી કરતા ‘અર્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ’ અને તેની સંલગ્ન કંપનીઓના દિલ્હી તથા ગુરુગ્રામ સ્થિત 10 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. આ તપાસમાં કંપનીના ડિરેક્ટરો અને પ્રમોટરો પાસેથી કરોડોની રોકડ, ઝવેરાત અને બેનામી મિલકતોના દસ્તાવેજો મળી આવ્યા છે.
સંયુક્ત નિયામક નેહા યાદવના નેતૃત્વમાં કરવામાં આવેલી આ તપાસમાં ઈડીએ આશરે રૂ. 6.3 કરોડની રોકડ રકમ, રૂ. 7.5 કરોડની કિંમતના સોના-ચાંદીના દાગીના, અનેક મોંધી અને કિંમતી ઘડિયાળો તથા રૂ. 100 કરોડથી વધુની કિંમતની 100થી વધુ સંપત્તિના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યાં હતા.
ઈડીની તપાસમાં બહાર આવ્યું છે કે અર્થ ગ્રુપે દિલ્હી-એનસીઆર, ગુરુગ્રામ, ગ્રેટર નોઈડા અને લખનૌમાં ‘અર્થ’ બ્રાન્ડ હેઠળ અનેક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ (જેમ કે અર્થ ટાઉન, સફાયર કોર્ટ, ટેકોન, સ્કાઈગેટ વગેરે) શરૂ કર્યા હતા. કંપનીએ આશરે 19,425 ઘર ખરીદનારાઓ પાસેથી અંદાજે રૂ. 2024.45 કરોડ એકઠા કર્યા હતા. ગ્રાહકોને સમયસર ઘર અને સારા વળતરના વાયદા કરાયા હતા, પરંતુ મોટાભાગના પ્રોજેક્ટ્સ અધૂરા જ રહ્યા છે.
તપાસમાં ખુલાસો થયો છે કે રોકાણકારોના પૈસાનો ઉપયોગ પ્રોજેક્ટ પૂર્ણ કરવાને બદલે અન્યત્ર કરવામાં આવ્યો હતો. ખોટી કંપનીઓ બનાવીને નાણાંની હેરફેર કરવામાં આવી હતી. પરિવારના સભ્યો જેઓ કામમાં સક્રિય નહોતા, તેમને જંગી પગાર ચૂકવવામાં આવ્યો, તેમજ રોકાણકારોના ભોગે અંગત જમીનો અને મિલકતો ખરીદવામાં આવી હતી.
આ મામલાની શરૂઆત દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા દ્વારા નોંધાયેલ 5 એફઆઈઆરથી થઈ હતી. ત્યારબાદ ગંભીર છેતરપિંડી તપાસ કચેરીએ પણ કંપની એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. હાલમાં અવધેશ કુમાર ગોયલ, રજનીશ મિત્તલ, અતુલ ગુપ્તા અને વિકાસ ગુપ્તા વિરુદ્ધ તપાસ તેજ કરવામાં આવી છે. ઈડીએ સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં વધુ ધરપકડો અને મોટા ખુલાસા થઈ શકે છે.
આ પણ વાંચોઃ વૈશ્વિક ઉર્જા સંકટના એંધાણ: ક્રૂડ ઓઈલ 100 ડોલરને પાર, હોર્મુઝની ખાડીમાં નાકાબંધી


