Site icon Revoi.in

ભારત-અમેરિકા વેપારમાં નિકાસકારોએ લાંબા ગાળાનો દૃષ્ટિકોણ રાખવો જોઈએ: પીયૂષ ગોયલ

Social Share

નવી દિલ્હીઃ નવા ઉભરતા વેપાર પડકારો વચ્ચે, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, પિયુષ ગોયલે નિકાસકારોને ભારત-અમેરિકા વેપાર પર લાંબા ગાળાનો દૃષ્ટિકોણ અપનાવવા જણાવ્યું. બદલાતા વૈશ્વિક વેપાર પરિદૃશ્ય વચ્ચે કેન્દ્રીય મંત્રીએ નિકાસ પ્રમોશન કાઉન્સિલ અને ઉદ્યોગ સંસ્થાઓ સાથે ચર્ચા કરી. આ બેઠકનું આયોજન ઉભરતા અને અત્યંત ગતિશીલ પરિસ્થિતિમાંથી ઉદ્ભવતા પ્રભાવો અને તકોની ચર્ચા કરવા અને સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાંઓથી ઉદ્યોગ અને વ્યવસાય સમુદાયને માહિતગાર કરવા માટે કરવામાં આવ્યું હતું.

ગોયલે કહ્યું, “વિવિધ નિકાસ પ્રમોશન કાઉન્સિલ અને ઉદ્યોગ સંસ્થાઓના હિસ્સેદારો સાથે ખૂબ જ ઉપયોગી બેઠક યોજાઈ હતી. ચર્ચામાં, બધા હિસ્સેદારોને યુએસ સાથે પરસ્પર ફાયદાકારક બહુ-ક્ષેત્રીય દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) માટે ચાલી રહેલી ચર્ચાઓથી વાકેફ કરવામાં આવ્યા હતા.” ગોયલે વધુમાં જણાવ્યું હતું કે, “તેમને (નિકાસકારો) તેમના વ્યાપારી નિર્ણયો લેતી વખતે ભારત-અમેરિકા વેપાર અને આર્થિક સંબંધોનો લાંબા ગાળાનો દૃષ્ટિકોણ રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ખાતરી આપી હતી કે સરકાર વૈશ્વિક વ્યાપાર વાતાવરણમાં તાજેતરના ફેરફારો વચ્ચે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા માટે કામ કરશે.”

કેન્દ્રીય મંત્રીએ નાણાકીય વર્ષ 2024-25માં 820 અબજ ડોલરથી વધુની અત્યાર સુધીની સૌથી વધુ નિકાસ હાંસલ કરવા બદલ નિકાસકારો અને ઉદ્યોગની પ્રશંસા કરી, જે પાછલા નાણાકીય વર્ષ કરતા લગભગ 6 ટકા વધુ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે લાલ સમુદ્ર સંકટ, ગલ્ફ ક્ષેત્રમાં ફેલાતો ઇઝરાયલ-હમાસ સંઘર્ષ, રશિયા-યુક્રેન સંઘર્ષ અને કેટલીક વિકસિત અર્થવ્યવસ્થાઓમાં ધીમી વૃદ્ધિ સહિત અનેક પ્રતિકૂળ પરિસ્થિતિઓ છતાં, આ સિદ્ધિ પ્રશંસનીય છે.

બેઠક દરમિયાન, ગોયલે નિકાસકારોને પરસ્પર ફાયદાકારક બહુ-ક્ષેત્રીય દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) માટે યુએસ સાથેની ચર્ચાઓ વિશે પણ માહિતી આપી. વધુમાં, બેઠકમાં, વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતી વિવિધ નિકાસ પ્રમોશન કાઉન્સિલે વૈશ્વિક વેપારમાં ઉભરતા પડકારોને ધ્યાનમાં રાખીને પોતાના મંતવ્યો અને દ્રષ્ટિકોણ રજૂ કર્યા અને સરકારને આ પડકારજનક સમયમાં નિકાસ ઉદ્યોગને ટેકો આપવા માટે સક્રિય પગલાં લેવા વિનંતી કરી.