Site icon Revoi.in

ખારાઘોડા રેલવે સ્ટેશન પર મીઠાના વહન માટે સુવિધામાં વધારો કરાશે

Social Share

સુરેન્દ્રનગર, 24 જુન 2026 : Facilities for transporting salt increased કચ્છના નાના રણમાં મીઠાનું વિપુલ ઉત્પાદન થાય છે. અને રેલવે વેગન દ્વારા દેશભરમાં મીઠાનો જથ્થો પહોંચાડવામાં આવે છે. ખારાઘોડાથી રેલવે વેગનોમાં મીઠાની બોરીઓ ભરવામાં આવે છે. પણ   દર વર્ષે રેલવેને રૂ. 110 કરોડની રેલવેનૂરની આવક રળી આપતા ખારાઘોડા રેલવે સ્ટેશનમાં યોગ્ય સુવિધા ન હોવાથી વેપારીઓ અને શ્રમિકોને મુશ્કેલી પડતી હતી. આથી હવે ખારાઘોડા રેલવે સ્ટેશનને  રૂ. 13.84 કરોડના ખર્ચે સીસીરોડની સુવિધાઓ સાથે કાયાપલટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખારાઘોડા રેલવે સ્ટેશનના દરેક પ્લેટફોર્મ સીસીરોડની સુવિધાઓ સાથે, લોડીંગ સાઈડ પર લાઈટના 35 થાંભલાઓ સાથે મીઠાના વેપારીઓ માટે અધ્યતન રૂમ અને મીઠા મજૂરો માટે શેડ સહિતની સુવિધાઓ આપવામાં આવશે.

દેશના કુલ 3 કરોડ મે.ટન મીઠાના ઉત્પાદનમાંથી અંદાજે 75% એટલે કે 2.25 કરોડ મે.ટન મીઠું ગુજરાતમાં પાકે છે. એમાંથી 35% મીઠું તો એકમાત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કચ્છના નાના રણમાં પાકે છે. ખારાઘોડાથી રેલવે વેગનો દ્વારા દેશભરમાં મીઠુ મોકલવામાં આવે છે. જેમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, વેસ્ટ બંગાલ, ત્રિપુરા અને છેક નેપાળ સુધી મોટા પાયે નિકાસ કરવામાં આવે છે. હવે મીઠા ઉદ્યોગના મોટા સેન્ટર એવા ખારાઘોડા રેલવે સ્ટેશનની કાયાપલટ કરાશે. દરેક પ્લેટફોર્મમાં સીસીરોડ, લોડીંગ સાઈડ પર લાઈટના 35 થાંભલાઓ, મીઠાના વેપારીઓ માટે અધ્યતન રૂમ, મજૂરો માટે શેડ સહીતની સુવિધાઓ હશે. શેડમાં શૌચાલય અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરાશે.

ખારાઘોડા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં- 1 અને 3 પર રેલવેમાં મીઠાની લોડીંગની સુવિધા માટે એક કિમી લાંબો અને 15 મીટર પહોળો સીસીરોડ બનશે, જેથી ચોમાસામાં વરસાદની સીઝનમાં મીઠાના લોડીંગમાં કોઈ અવરોધ ન આવે. હાલમાં આ પ્રોજેક્ટનું 48% કામ પૂર્ણ થઇ ગયું છે, અને આગામી દિવસોમાં આ પ્રોજેક્ટ પુરો થયા બાદ ગુજરાતના ગૌરવ સમા મીઠા ઉદ્યોગ માટે વર્ષો બાદ સોનાનો સૂરજ ઉગશે.

Exit mobile version