Site icon Revoi.in

ટેકાના ભાવે સરકારે મગફળી ન ખરીદતા ખેડૂતો સસ્તાભાવે વેચવા મજબુર બન્યા

Social Share

ભૂજઃ કચ્છ સહિત સૌરાષ્ટ્રભરમાં આ વખતે મગફળીનું સારૂએવું વાવેતર થયુ હતુ. સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી હતી. અને ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા આરંભી હતી. જેમાં કચ્છના 12 હજાર જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. લાભ પાંચમથી ખરીદી થવાની હતી, લાભ પાંચમ વીતી ગઈ પણ ખરીદી શરૂ ન થઇ ત્યારબાદ 1લી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરવામાં આવી હતી. પણ હજુ સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ ન થતા ખેડૂતો યાર્ડમાં સસ્તાભાવે મગફળી વેચવા મજબુર બન્યા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાના કારણે ખેડૂતોના પાકને મોટી નુકશાની પહોંચી હતી. તેની વચ્ચે સરકારે ખરીદીની પ્રક્રિયા હાલ પુરતી મોકૂફ રાખતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કચ્છના ખેડૂતો હવે હવે ઓછા ભાવે મગફળી વેચવા મજબુર બન્યા છે. જે મગફળીના પાકને વરસાદથી નુકશાની થઇ છે, તે મગફળી માત્ર 1300 રૂપિયા મણના ભાવે વેચાઈ રહી છે. યાર્ડમાં વેપારીઓ 2200થી 2250 રૂપિયાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદીને 2360થી 2370ના ભાવે મગફળી મિલને વેચી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન કચ્છમાં પડેલા ઝાપટાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયાછે. એક તરફ મજુરો અને થ્રેસર મશીન ન મળતા મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. માવઠા અને વરસાદના કારણે જે મગફળી બચી છે તેની ગુણવતા પણ સારી નથી, જેના કારણે હવે ખેડૂતો સરકારની ખરીદીની રાહ જોયા વિના જે ભાવ મેળે છે તે ભાવે વેચવા માટે મજબુર બન્યા છે.

ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે 2904 રૂપિયામાં મગફળી ખરીદવાની જાહેરાત થતાં ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો હતો. તાજેતરમાં કમોસમી વરસાદ અને માવઠા કારણે સરકારે ખરીદી કરી રહી નથી. જેના કારણે ખેડૂતો અસમંજસતામાં મુકાય છે. એક એકર જમીનમાં જો સારો વરસાદ પડે તો 25થી 30 મણ મગફળી થાય. પણ આ વર્ષે માવઠા અને વરસાદના કારણે તેમાં પણ ઘટડો થયો છે. સાથે જ ખેડૂતોને એક એકર દીઠ બિયારણથી લઈને વેચવા સુધીમાં 30થી 35 હજાર જેટલો તો ખર્ચ થઇ જાય છે. આ વર્ષે ખેડૂતોને માંડ 20 મણ મગફળી થઇ છે, જેના 2200 રૂપિયા પ્રમાણે હિસાબ કરવામાં આવે તો ખેડૂતોની મજુરી પણ નીકળે તેમ નથી.

Exit mobile version