Site icon Revoi.in

ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનું વળતર ખેડૂતોને ચૂકવાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી પડેલા કમોસમી વરસાદને લીધે કૃષિપાકને સારૂએવું નુકસાન થયુ છે. ખેડૂતોના મોંમા આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્થિતિનો તાત્કાલિક તાગ મેળવવા મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં જવાની સૂચના આપી હતી. મુખ્યમંત્રીના આ નિર્દેશ બાદ મંત્રીઓએ મેદાનમાં ઊતરી ખેડૂતોની વચ્ચે પહોંચી તેમની વેદના સાંભળીને સ્થિતિની સમીક્ષા કરી હતી. આજે મળેલી કેબિનેટની બેઠકમાં સર્વેને મંજૂરી અપાઈ છે. હવે ગ્રામસેવકો અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીનો સર્વે કરશે. સર્વે બાદ રિપોર્ટ આપવા આદેશ કર્યો છે. એક અઠવાડિયામાં સર્વેની કામગીરી કરાશે. અને ખેડૂતોને નુકાસનીનું વળતર અપાશે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસેલા કમોસમી વરસાદને કારણે ખેતરોમાં પાકને થયેલા ભારે નુકસાનની સ્થિતિનો તાત્કાલિક તાગ મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાબડતોબ કાર્યવાહી કરી છે. સ્થિતિની સમીક્ષા અને પાક નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવાની સરકારે હૈયાધારણા આપી છે.  આજે બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગેના સર્વેને આખરે મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકાર હવે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં થયેલા નુકસાનનો સર્વે કરાવશે. આ સર્વેની કામગીરી માટે ગ્રામસેવકોને આદેશ આપવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ બેઠક બાદ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ સર્વેની કામગીરી એક અઠવાડિયામાં (7 દિવસમાં) પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ રિપોર્ટ રજૂ કરવા આદેશ કરાયો છે.

મુખ્યમંત્રીએ અધિકારીઓને આદેશ આપીને 5 જિલ્લાઓને અતિ ભારે વરસાદવાળા વિસ્તાર તરીકે નક્કી કર્યા છે. મંત્રીએ મુખ્યમંત્રીને માહિતીગાર કર્યા હતા. સરકારે ધારાસભ્યો, સંસદ સભ્યો અને લોકો સાથે ચર્ચા કરીને અસરગ્રસ્ત ખેડૂતો અને ખેતરોની માહિતી મેળવી છે. મંત્રી વાઘાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈ ખેડૂત સહાય વગર રહેશે નહીં, એવો રાજ્ય સરકાર નિર્ણય કરશે.