રાજકોટ,12 ફેબ્રુઆરી 2026: શહેરમાંથી થયેલી રૂ. 1.62 કરોડની કિંમતની 120 કિલોથી વધુ ચાંદીની ચોરી કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીને ઝડપી લીધા બાદ ઈનપુટને આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પણ બે આરોપીને દબોચી લીધા હતા. અત્યાર સુધી આ કેસમાંચાર આરોપી પકડાયા છે. પકડાયેલા મુખ્ય બન્ને આરોપીઓએ કેવી રીતે ચોરી કરી, ચોરી કરીને પ્રથમ ક્યા ગયા હતા. વગેરે માહિતી પોલીસ સમક્ષ પોપટની જેમ પઢી હતી. આ કેસમાં પોલીસે મુખ્ય બે આરોપીઓ પાસેથી 2 લાખ રોકડા, ગુનામાં વપરાયેલી ક્રેટા અને ફોર્ચ્યુનગર કાર અને ચોરી કરેલી 30 કિલો ચાંદી કબજે કરી છે.
રાજકોટ શહેરમાંથી 120 કિલોથી વધુ ચાંદીની ચોરી કેસમાં પડડાયેલા આરોપીઓએ પોલીસ સમક્ષ વટાણા વેરીને કેવી રીતે ચોરી કરી તેની હકિકત કહી હતી. રાજસ્થાનથી મુખ્ય આરોપી શૈલેન્દ્રસિંગ ઉર્ફે સેલસીંગ રાજપૂત રાજકોટમાં રહી રેકી કર્યા બાદ રતનસિંગ રાઠોડ સાથે મળી ચાંદી ચોરી અંગે પ્લાન બનાવ્યો હતો જેમાં તેને બોટાદના રાજુ ભોજકે મદદ કરી હતી. રાજકોટમાં ચોરી કર્યા બાદ મુદ્દામાલની બોટાદમાં ભાગબટાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ ચાર આરોપી ફોર્ચ્યુનર કારમાં અમદાવાદ નાશી છૂટ્યા હતા.
પોલીસે 120થી વધુ કિલો ચાંદીની ચોરી કેસમાં અત્યાર સુધીમાં 4 આરોપીઓને ઝડપી લીધા છે. આરોપી પાસેથી 110 કિલો ચાંદી મળી આવી છે. જ્યારે પાંચ આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર છે. મુખ્ય આરોપી સેલસીંગ, રતનસીંગ અને રાજુ ભોજક દારૂનો પણ ધંધો કરતા હોવાથી એક બીજાના સંપર્કમાં આવ્યા હતા અને તેના જ કારણે આવડી મોટી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશરે 120થી વધુ કિલો ચાંદીની ચોરી અંગે ફરિયાદ નોંધાયા બાદ અલગ અલગ 8 ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે ચોરીમાં સંડોવાયેલા મુખ્ય બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠાના રતનસિંગ રાઠોડ અને બોટાદના રાજુ ઉર્ફે રાજા ભોજકની ધરપકડ કરવામાં આવી છે. જેની પાસેથી પોલીસે ચોરીમાં વપરાયેલા કાળા કલરની ક્રેટા કાર, રોકડ રૂપિયા બે લાખ 30 કિલો 540 ગ્રામ ચાંદી અને એક ફોર્ચ્યુનર કાર મળી કુલ 77.73 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીઓ પૈકી રતનસિંગ રાઠોડ વિરુધ્ધ 3 અને રાજુ ઉર્ફે રાજા વિરુધ્ધ 7 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ આખાએ ચોરી કેસમાં ચોરી કરવા માટે મુખ્ય બે લોકોએ પ્લાન બનાવ્યો હતો જેમાં રાજસ્થાનના શૈલેન્દ્રસીંગ ઉર્ફે સેલસીંગ રાજપૂત અને રતનસિંગ રાઠોડનો સમાવેશ થાય છે. શૈલેન્દ્રસીંગ છેલ્લા એકાદ મહિનાથી રાજકોટ રહી આંટા ફેરા કરતો અને જુદા જુદા વિસ્તારમાં રેકી કરતો હતો. રેકી કર્યા બાદ શૈલેન્દ્રસિંહે ચોરીને અંજામ આપવા માટે રાજસ્થાનથી મુકેશ રામારામ પ્રજાપતિ અને છોટુ ભૈયાને સાથે લઇ અમદાવાદ આવ્યો હતો. અમદાવાદ આવી આરોપી રતનસીંગ રાઠોડને મળ્યા હતા. અહિયાંથી ચારેય આરોપીઓ સાથે મળી બોટાદના આરોપી રાજુ ઉર્ફે રાજા ભોજક પાસે પહોંચ્યા હતા જ્યાંથી રાજુએ ક્રેટા કારની વ્યવસ્થા કરી આપી હતી અને તેમની સાથે એક માણસ જગદીશ ભોજકને મોકલ્યો હતો.

