તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ, નવ વ્યક્તિઓના મોત
બેંગ્લોરઃ દિવાળીને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે જેથી ફટાકડાના કારખાનાઓમાં મોટી સંખ્યામાં દારૂખાનુ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન તમિલનાડુના વિરાગલુર ગામમાં ફટાકડાની એક ફેક્ટરીમાં આગ લાગી હોવાનું જાણવા મળે છે. આ ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી. આગની ઘટનામાં નવ વ્યક્તિઓના મોત થયાં છે. રાજ્ય સરકારે સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને મૃતકો અને ઈજાગ્રસ્તોને આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત રાજ્ય સરકારના બે કેબિનેટ મંત્રીઓ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર, તમિલનાડુના અરિયાલુર જિલ્લામાં ફટાકડાના એક કારખાનામાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં નવ વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને સમગ્ર ઘટના અંગે શોક વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી છે. અરિયાલુર જિલ્લાના વિરાગલુર ગામમાં એક ફેક્ટરીમાં આગ લાગતના નાસભાગ મચી ગઈ હતી. આ બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા.
સીએમએ જણાવ્યું હતું કે, આગની આ ઘટનામાં પાંચ વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતા તેમને તંજાવુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. રાહત બચાવ કામગીરીને લઈને સરકાર સતત નજર રાખી રહી છે. સ્ટાલિન સરકારના કેબિનેટ મંત્રી એસ.એસ શિવશંકર અને સીવી ગણેશન પણ સ્થળ પર દોડી ગયા હતા. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને રૂ. 3-3 લાખની સહાય જાહેર કરી છે. જ્યારે ઈજાગ્રસ્તોને રૂ. એક-એક લાખની સહાયની જાહેરાત કરાવામાં આવી છે. સામાન્ય ઈજાગ્રસ્તોને રૂ. 50000 હજારની સહાય આપવામાં આવશે.