ભરૂચઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ભરૂચ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. લાભપાંચમની સવાર કેટલાક મુસાફરો માટે કાળમુખી બની હતી. ભરૂચના નબીરપુર પાસે વહેલી સવારે ધુંધળા વાતાવરણમાં એકસાથે પાંચ વાહનો અથડાયા હતા. 5 વાહનોના અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નેશનલ હાઈવે 48 પર વડોદરાથી સુરત જવાના રુટ પર વહેલી સવારે આ અકસ્માતની ઘટના બની હતી. નબીરપુર પાસે પરવાના હોટલની સામે અકસ્માત સર્જાયો હતો. કન્ટેઈનર, 2 ખાનગી બસ, એક સરકારી બસ, કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ પાંચેય વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માત જોરદાર હતો કે, કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા, તો અન્ય બે લોકોને ઈજા પહોંચી હતી.
ભરૂચના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નબીપુર નજીક ઉભેલી ટ્રક પાછળ અન્ય ટ્રક, ખાનગી બસ અને વાન એમ કુલ પાંચ વાહન ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં વાનમાં સવાર 3 લોકોના ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યા હતા. તેમજ વાહનનો પર કૂરચો નીકળી ગયો હતો. આ ઉપરાંત નર્મદા ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં કારમાં સવાર 5 લોકોને ઈજાઓ પહોંચી હતી.
ભરૂચના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માતોની વણઝાર જોવા મળી છે. ભરૂચના નબીપુર નજીક અને નર્મદા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં નબીપુર નજીક ઉભેલી ટ્રક પાછળ અન્ય ટ્રક, ખાનગી બસ અને વાન ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વાનમાં સવાર 3 લોકોના ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યા હતા. તો બીજી તરફ નર્મદા ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં ફસાયેલ પાંચ જેટલા લોકોને 108ની ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યાં છે. બન્ને અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા 7 જેટલા લોકોને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ઘટના મામલે ભરૂચ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.