
અયોધ્યાના રામ મંદિર માટે અમદાવાદમાં તૈયાર કરાયું ધ્વજદંડ
અમદાવાદઃ અયોધ્યામાં 500 વર્ષ પછી રામ મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે તેમાં અમદાવાદનું મહત્વનું યોગદાન રહ્યું છે. અયોધ્યાના રામ મંદિર માટે અમદાવાદમાં શાસ્ત્રોત્તરૂપથી પિત્તળનો ધ્વજદંડ તૈયાર થયો છે. આ ધ્વજદંડનું અમદાવાદથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અયોધ્યામાં આ ધ્વજદંડની પૂજા પણ કરવાના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્કસના ભરતભાઈ મેવાડા અને તેમની ટીમ દ્વારા અયોધ્યા રામ મંદિર માટે ધ્વજદંડ બનાવવામાં આવ્યો છે. આ અવસરે ગોતાથી વૈષ્ણોદેવી સુધી ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી. આ ધ્વજદંડના પ્રસ્થાન પ્રસંગે સર્વે ધારાસભ્યો, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શ્રી જગદગુરુ રામ ભટ્ટાચાર્ય મહારાજ, મહામંડલેશ્વર મા વિશ્વેશ્વરી ભારતીજી, મહામંડલેશ્વર ઋષિ ભારતીબાપુ, આચાર્ય ડોક્ટર રાજાશાસ્ત્રીજી, મહંતશ્રી રામસ્વરૂપ પુરી મહારાજ, મહંત શ્રી ધરજગીરી ગોસ્વામી તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.