નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી, 2026: ઇઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાનની રાજધાની તેહરાન પર કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ઇઝરાયેલમાં રહેતા પોતાના નાગરિકો માટે હાઈ-એલર્ટ જારી કર્યું છે. તેલ અવીવ સ્થિત ભારતીય દૂતાવાસે શનિવારે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને ભારતીય પ્રવાસીઓને અત્યંત સાવધ રહેવાની સૂચના આપી છે.
ભારતીય દૂતાવાસે જારી કરેલી એડવાઈઝરીમાં જણાવાયું છે કે, “વિસ્તારમાં વર્તમાન સુરક્ષા સ્થિતિને જોતા ઇઝરાયેલમાં તમામ ભારતીય નાગરિકોને અત્યંત સાવધાની રાખવા અને હંમેશા ચોકન્ના રહેવા સલાહ આપવામાં આવે છે.” દૂતાવાસે ભારતીયોને ઇઝરાયેલી સત્તાવાળાઓ અને ‘હોમ ફ્રન્ટ કમાન્ડ’ દ્વારા જારી કરાયેલ સુરક્ષા માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું છે.
ખાસ કરીને, નાગરિકોને સુરક્ષિત વિસ્તારો (બંકરો અથવા શેલ્ટર) ની નજીક રહેવા અને પોતાના રહેઠાણ કે કાર્યસ્થળની સૌથી નજીકના સુરક્ષિત સ્થળ વિશે અગાઉથી માહિતી મેળવી લેવા તાકીદ કરવામાં આવી છે. દૂતાવાસે ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી ઇઝરાયેલની અંદર કોઈપણ બિનજરૂરી પ્રવાસ ન કરવા જણાવ્યું છે. આ ઉપરાંત, સ્થાનિક મીડિયાના અહેવાલો, સત્તાવાર જાહેરાતો અને ઈમરજન્સી એલર્ટ પર સતત નજર રાખવા માટે પણ સૂચના આપી છે. કોઈપણ કટોકટીના સમયે મદદ માટે ભારતીય દૂતાવાસે 24 કલાક કાર્યરત હેલ્પલાઈન નંબર અને ઈમેઈલ આઈડી જાહેર કર્યા છે.
નોંધનીય છે કે આ એડવાઈઝરી તેહરાનમાં થયેલા શ્રેણીબદ્ધ પ્રચંડ ધડાકાઓ બાદ આવી છે. ઇઝરાયેલે આ હુમલાને ઈરાન સામેનો ‘બચાવ માટેનો મિસાઈલ હુમલો’ ગણાવ્યો છે. અહેવાલો મુજબ, તેહરાનની યુનિવર્સિટી સ્ટ્રીટ અને જોમ્હૌરી જિલ્લામાં અનેક મિસાઈલો ત્રાટકી છે. સુરક્ષાના કારણોસર ઇઝરાયેલ અને ઈરાન બંનેએ પોતપોતાના એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) બંધ કરી દીધા છે.


