1. Home
  2. ગુજરાતી
  3. તુર્કી-સીરિયામાં પ્રલયથી મહાવિનાશ,3400થી વધુ લોકોના મોત,3500 મકાનો થયા જમીનદોસ્ત
તુર્કી-સીરિયામાં પ્રલયથી મહાવિનાશ,3400થી વધુ લોકોના મોત,3500 મકાનો થયા જમીનદોસ્ત

તુર્કી-સીરિયામાં પ્રલયથી મહાવિનાશ,3400થી વધુ લોકોના મોત,3500 મકાનો થયા જમીનદોસ્ત

0
Social Share

દિલ્હી:તુર્કીમાં સોમવારે એક પછી એક ત્રણ ભૂકંપથી દેશ હચમચી ગયો હતો.એકલા તુર્કીમાં અત્યાર સુધીમાં 1651 લોકોના મોત થયા છે અને સીરિયામાં પણ મૃત્યુઆંક 1000ને પાર કરી ગયો છે. આ ભૂકંપના કારણે તુર્કીમાં 11000થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

સોમવારે તુર્કીમાં ત્રણ આંચકાના કારણે ગભરાટ ફેલાયો હતો. સોમવારે સાંજે તુર્કીમાં ત્રીજો ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.0 હતી. છેલ્લા 24 કલાકમાં તુર્કીમાં આ ત્રીજો ભૂકંપ છે.

ભૂકંપથી 2818 ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી. કાટમાળની અંદરથી અત્યાર સુધીમાં 2470 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.પરંતુ હજુ પણ હજારો લોકો કાટમાળમાં ફસાયેલા છે. મોટાપાયે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે.

રિપોર્ટ અનુસાર, સોમવારે વહેલી સવારે આવેલા ભૂકંપના લગભગ 12 કલાક બાદ સાંજે તુર્કીમાં વધુ એક ભૂકંપથી લોકો હચમચી ગયા હતા.તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ભૂકંપના પગલે ઈમરજન્સી બેઠક યોજી ભૂકંપ પીડિતોને શક્ય તમામ મદદની ઓફર કરી હતી.

તુર્કીમાં ભૂકંપનો પહેલો આંચકો સોમવારે સવારે લગભગ 4.15 કલાકે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર સીરિયા સરહદથી માત્ર 90 કિલોમીટરના અંતરે આવેલા ગાજિયાનટેપ વિસ્તારમાં હતું. સીરિયામાં પણ ભૂકંપના કારણે ભારે તારાજી સર્જાઈ હતી.ભૂકંપના કારણે સીરિયાના અનેક શહેરોમાં તબાહી મચી ગઈ હતી.એકલા સીરિયામાં ભૂકંપના કારણે 1000થી વધુ લોકોના મોતના સમાચાર છે.

સોમવારે વહેલી સવારે સરહદની બંને બાજુના લોકો ભૂકંપના આંચકાથી જાગી ગયા હતા. ભૂકંપના આંચકાથી ગગનચુંબી ઈમારતો ધ્રૂજવા લાગી.આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે.વહીવટીતંત્રે મોટા પાયે અસરગ્રસ્ત અનેક શહેરોમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ રાખ્યું છે.

તુર્કીની ભૌગોલિક સ્થિતિને કારણે અહીં વારંવાર ભૂકંપ આવે છે.અહીં 1999માં આવેલા ભૂકંપમાં 18000 લોકોના મોત થયા હતા.ઓક્ટોબર 2011માં આવેલા ભૂકંપમાં 600થી વધુ લોકોના મોત થયા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code