ગાંધીનગર,23 જાન્યુઆરી 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠક અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપતાં હતું કે, ગુજરાતમાં વન્યજીવોના સંરક્ષણ અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે સરકાર કટિબદ્ધ છે. રાજ્યના મહત્વના સિંહ અભયારણ્ય, પક્ષી અભયારણ્ય, ઘુડખર અભયારણ્ય તથા રીંછ અભયારણ્ય જેવા વન્યજીવ કેન્દ્રોના વિકાસ અને વન્ય પ્રાણીઓની સુરક્ષા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
વન મંત્રીએ વિશેષ આનંદ સાથે જણાવ્યું કે, વન્યજીવ વસ્તી ગણતરી દરમિયાન ગુજરાતના રતનમહાલ અભયારણ્ય અને આસપાસના વિસ્તારોમાં વાઘની હાજરી નોંધાઈ છે, જે રાજ્ય માટે ગૌરવની વાત છે. આ વાઘના કાયમી વસવાટ, સુરક્ષા અને તેની સંખ્યામાં વૃદ્ધિ થાય તે માટે વન વિભાગ દ્વારા સર્વગ્રાહી આયોજન કરવામાં આવ્યું છે. વાઘના સંરક્ષણ માટે ગુજરાત વન વિભાગ ‘નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી’ સાથે સતત સંપર્કમાં છે. તેમના દ્વારા સૂચવવામાં આવેલા તમામ માર્ગદર્શક સિદ્ધાંતો અને ઉપાયોનું આગામી સમયમાં રાજ્યમાં ચુસ્તપણે પાલન કરવામાં આવશે. વાઘના સંરક્ષણની સાથે સાથે તેના ખોરાક અને વસવાટની ક્ષમતા વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે તેમ વન મંત્રી મોઢવાડિયાએ ઉમેર્યું હતું.
વન મંત્રીએ ઉમેર્યુ હતું કે NTCAની સહભાગીતાથી આ વિસ્તારમાં વાઘ સંરક્ષણ-જતન માટેની કોમ્યુનિટી પાર્ટીશિપેશન તાલીમ સ્થાનિક લોકોને આપવાનું આયોજન કરવામાં આવશે. સાથે જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં ઇકો ટુરિઝમને વેગ આપવા, સાથે જ પ્રવાસીઓ-વિઝીટર્સની વધતી જતી સંખ્યાને પરિણામે વન્યજીવ સૃષ્ટિને કોઈ નુકસાન કે ખલેલ ન થાય એની પણ કાળજી લેવા વન વિભાગને સૂચનો કર્યા હતા. જે સંદર્ભે વિઝીટર્સ પોલિસી ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં આવશે.
ગુજરાતમાં દીપડાઓની વધતી જતી સંખ્યા અને રેસ્ક્યુ થયેલા દીપડા સહિતના દીપડાઓ માટે અભયારણ્યનું સ્થળ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત કરવાના આયોજનની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

